2જી કેસ : નીરા રાડિયા 28 મેએ કોર્ટમાં હાજર થશે
આ કેસમાં સીબીઆઇએ વિશેષ સીબીઆઇ ન્યાયાધીશ ઓ પી સૈનીને ફરિયાદી પક્ષના પોતાના ગવાહોની યાદી સોંપી છે. આ ગવાહોને કોર્ટમાં પોતાના નિવેદનો નોંધાવવા માટે બોલાવવામાં આવશે. જેમાં નીરા રાડિયાની ગવાહી 28 મેના રોજ થવાની છે. રાડિયાને સીબીઆઇની ગવાહ તરીકે ગયા વર્ષે 5 ડિસેમ્બરના રોજ અદાલતમાં હાજર થવાનું હતું. તે સમયે રાડિયાએ એમ કહીને ત્રણ મહિનાનો સમય માંગ્યો હતો કે તેમણે ન્યુરોલોજી સંબંધિત સર્જરી કરાવી છે.
સીબીઆઇએ પૂર્વ ટેલિકોમ પ્રધાન એ રાજા અને અન્યોની વિરુદ્ધ 2 એપ્રિલ, 2011ના રોજ દાખલ કરેલા પોતાના આરોપ પત્રમાં રાડિયાને આ કેસમાં ફરિયાદી પક્ષની ગવાહ બનાવવામાં આવી હતી. રાડિયાના નિવેદનને આ કેસ માટે મહત્વનું માનવામાં આવે છે. કારણ કે તેમણે સીઆરપીસીની કલમ 161 અંતર્ગત તપાસ હેઠળ સીબીઆઇ સમક્ષ નોંધાવેલા પોતાના નિવેદનમાં એમ જણાવ્યું હતું કે 2જી કેસમાં મુકદમાનો સામનો કરી રહેલી સ્વાન ટેલિકોમ પ્રાઇવેટ લિમિટેડ યુનિફાઇડ એક્સેસ સર્વિસ (યુએએસ) લાયસન્સ પ્રાપ્ત કરવાને લાયક ન હતી.
રાડિયાએ 21 ડિસેમ્બર, 2010ના રોજ સીબીઆઇ દ્વારા નોંધાયેલા પોતાના નિવેદનમાં તપાસ એજન્સીને કહ્યું હતું કે સ્વાન ટેલિકોમ આવેદક તરીકે યુએએસ લાયસન્સ મેળવવા માટે લાયક ન હતી. તેણે કહ્યું હતું કે "જ્યાં સુધી મને માહિતી છે ત્યાં સુધી આ કંપની સંપૂર્ણ રીતે મેસર્સ રિલાયન્સ કોમ્યુનિકેશન્સ દ્વારા નિયંત્રિત હતી."