3 ત્રાસવાદીઓનો ખાત્મો; જમ્મુ આતંકવાદી હુમલાનો અંત
શ્રીનગર, 26 સપ્ટેમ્બર : આજે સવારે જમ્મુ અને કશ્મીરના જમ્મુ પ્રાંતના કઠુઆ જિલ્લા અને સાંબા જિલ્લા, એમ બે સ્થળે હુમલો કરનાર ત્રણ ત્રાસવાદીને એન્કાઉન્ટરમાં ખતમ કરવામાં સુરક્ષા જવાનોને સફળતા મળી છે. ભારતના વડાપ્રધાન મનમોહન સિંહ અમેરિકામાં સંયુક્ત રાષ્ટ્ર સભામાં હાજરી આપવાના છે અને 29 સપ્ટેંબરે યુએનની બેઠક દરમિયાન પાકિસ્તાનના વડા પ્રધાન નવાઝ શરીફને મળે એવી ધારણા વચ્ચે થયેલા આતંકવાદી હુમલાથી સમગ્ર દેશમાં યુપીએ સરકારના વલણની આકરપી ટીકા થઇ હતી.
આના પગલે સંરક્ષણ મંત્રાલયે લશ્કરને આકરા પગલાં લેવા સૂચના આપી હતી. ચૂસનાના અમલ હેઠળ ભારતીય લશ્કરના જવાનોને ત્રણ ત્રાસવાદીઓનો ખાત્મો બોલાવવામાં સફળતા મળી હતી. આ ત્રણે આતંકવાદીઓએ પહેલાં કઠુઆ જિલ્લાના હીરાનગર ટાઉનમાં એક પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો હતો અને ત્યારબાદ તેઓ સાંબા જિલ્લામાં એક લશ્કરી છાવણી પર ત્રાટક્યા હતા.
બંને હુમલામાં ચાર પોલીસ જવાન અને 6 લશ્કરી જવાન સહિત ઓછામાં ઓછા 12 જણ માર્યા ગયા છે. સાંબામાં આતંકવાદીઓએ અંધાધૂંધ ફાયરિંગ કરતા ભારતીય સેનાએ પણ વળતો જવાબ આપતા ફાયરિંગ કર્યું હતું. આતંકવાદીઓ આર્મીના યુનિફોર્મમાં સજ્જ થઈ, ઓટોમાં બેસીને આવ્યા હતા. તેમણે કઠુઆમાં પોલીસ થાણામાં ઘૂસી ફાયરિંગ કર્યું હતું અને પછી ત્યાંથી એક ટ્રકમાં બેસી ફરાર થયા હતા.
સાંબામાં તેમણે સેનાની એક કેમ્પ પર હુમલો કર્યો હતો. આ ઘર્ષણમાં લેફ્ટનેન્ટ કર્નલ વિક્રમજીત સિંહ સહિત અન્ય ત્રણ જવાનો શહીદ થયા છે. અન્ય બે સ્થાનિક વ્યક્તિનાં પણ મોત થયા છે.
દરમિયાન, વડા પ્રધાન મનમોહન સિંહ, જે યુએનની મહાપરિષદની બેઠકમાં હાજરી આપવા અમેરિકા ગયા છે તેમણે ટ્વિટ કરીને જમ્મુમાંના આતંકી હુમલાને વખોડી કાઢ્યો હતો અને કહ્યું હતું કે આવા હુમલા ભારતને પાકિસ્તાન સાથે શાંતિસંબંધો પ્રસ્થાપિત કરવાના પ્રયાસોને પડતા મૂકવા ઉશ્કેરી નહીં શકે કે બંને દેશ વચ્ચેની શાંતિ પ્રક્રિયાને ખોરવી નાખવામાં સફળ નહીં થાય.