તલવાર દંપત્તિનું કોઇ રહસ્ય તો નહોતા જાણતાને આરૂષિ-હેમરાજ?
ગાઝિયાબાદ, 17 એપ્રિલઃ દેશની સૌથી મોટી મર્ડરમિસ્ટ્રી 'આરૂષિ તલવાર, હત્યાકાંડ' પાંચ વર્ષ બાદ ઉકેલવાની અણી ઉપર છે. સીબીઆઇએ દાવો કર્યો છે કે આરૂષિ અને હેમરાજની હત્યા તલવાર દંપત્તિએ કરી છે. જો કે, સીબીઆઇએ હજુ સુધી હત્યાના કારણોનો ખુલાસો કર્યો નથી. બુધવારે સીબીઆઇના આઇઓએ ગાઝિયાબાદ સીબીઆઇ કોર્ટમાં આરૂષિની હત્યા માટે જવાબદાર રાજેશ અને નુપુર તલવારને ઠેરવ્યા છે. સીબીઆઇના પોલીસ અધિક્ષક એજી કૌલે અદાલતમાં જણાવ્યું કે, આરૂષિની હત્યા તેના માતા-પિતાએ કરી છે. તલવાર દંપત્તિ પર આરોપ લગાવતા સીબીઆઇએ દલીલ કરી છે કે જ્યારે આરૂષિ અને તેમના નોકર હેમરાજની હત્યા કરવામાં આવી ત્યારે ફ્લેટની અંદર અને બહાર કોઇ ગયું નહોતું. તે સમયે ફ્લેટમાં ચાર લોકો હાજર હતા. જેમાં બે લોકો જીવીત બચી ગયા અને બે માર્યા ગયા.
થોડાક મહિનાઓ પહેલા સીબીઆઇએ પોતાની દલીલમાં આરૂષિ તલવારની હત્યાના કારણોનો પણ ઉલ્લેખ કર્યો હતો. સીબીઆઇએ કહ્યું હતું કે આરૂષિ તલવાર અને નોકર હેમરાજને આપત્તિજનક સ્થિતિમાં જોઇને તલવાર દંપત્તિએ તેમની હત્યા કરી નાંખી. ગત સાત માર્ચે સીબીઆઇની વિશેષ અદાલતમાં નોએડા સેક્ટર 20ના તત્કાલિન થાનેદાર દાતારામ નનૌરિયાનું નિવેદન નોંધવામાં આવ્યું હતું. દાતારામે અદાલતને જણાવ્યું કે સૂચના મળતા જ તે તેમની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તેમણે આખા રૂમ અને ઘરને સીલ કરી દીધું હતું. તેમણે જણાવ્યું કે, રૂમના બેડ પર આરૂષિનો મૃતદેહ પડ્યો હતો અને તકિયુ, બેડશીટ અને દીવાલ પર લોહી લાગેલું હતું. આરૂષિનું લોવર થોડુંક નીચે હતુ અને તેનું નાડું ખુલ્લું હતું.