ભાગવત સમક્ષ અડવાણીએ ભાજપ મુદ્દે બળાપો ઠાલવ્યો
નવી દિલ્હીમાં મોહન ભાગવત અને અડવાણી વચ્ચેની બંધ બારણે યોજાયેલી મુલાકાત અંદાજે સવા કલાક સુધી ચાલી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર મુલાકાતમાં ભાજપમાં વર્તમાન પરિસ્થિતિની સાથે આગામી લોકસભા ચૂંટણી સહિતના વિવિધ મુદ્દે ગંભીર ચર્ચા કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર મોદીની ચૂંટણી પ્રચાર સમિતિની કમાન સોંપાયા બાદ નારાજ અડવાણી સાથે સંઘનાં પ્રમુખની આ પહેલી મુલાકાત હતી. બેઠકમાં પક્ષની હાલની પરિસ્થિતી અંગે ચર્ચા કરવામાં આવી છે. આ મુલાકાત બુધવારે થવાની હતી પરંતુ અડવાણીની તબીયત ખરાબ હોવાને કારણે તે થઈ શકી નહોતી.
નોંધનીય છે કે સંઘના મોહન ભાગવતની દરમિયાનગીરી બાદ જ અડવાણી તેમનુ રાજીનામુ પાછું ખેંચવા માટે રાજી થયા હતા. તે સમયે એવું નક્કી થયું હતું કે ભાગવતની દિલ્હી મુલાકાત સમયે બંને વચ્ચે બેઠક યોજાશે. બુધવારે આ બેઠક પર સૌની નજર હતી પરંતુ આ મુલાકાત મુલતવી રહી. આ દરમિયાન બુધવારે ભાજપના પૂર્વ અધ્યક્ષ નીતિન ગડકરીએ મોહન ભાગવત સાથે મુલાકાત યોજી હતી.