સોહરાબુદ્દીન કેસમાં અમિત શાહને હાજરીમાંથી મળી રાહત
મુંબઇ, 10 નવેમ્બર: કેન્દ્રીય તપાસ બ્યૂરોની વિશેષ કોર્ટે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને સોહરાબુદ્દીન શેખ નકલી અથડામણ કેસમાં વ્યક્તિગત હાજરીમાંથી છૂટ આપી દીધી છે.
શાહના વકીલ તરફથી દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું હતું કે એક રાષ્ટ્રીય પાર્ટીના અધ્યક્ષ હોવાના નાતે તેમને આખા દેશમાં રાજનૈતિક પ્રવાસ, બેઠકો, અને અન્ય રાજકીય કાર્યક્રમોમાં હાજરી આપવા માટે પ્રવાસ કરવો પડે છે. માટે કોર્ટની દરેક સુનાવણીમાં હાજર રહેવું તેમના માટે સંભવ નથી. અરજીમાં એ પણ કહેવામાં આવ્યું છે કે દિલ્હી અને ઝારખંડ સહિત અન્ય રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત થયા બાદ અમિત શાહે ત્યાં ઉપસ્થિત રહેવું પડે તે જરૂરી છે.
અત્રે નોંધનીય છે કે આ કેસના પગલે અમિત શાહને ગુજરાતની બહાર રહેવા ફરમાન આપવામાં આવ્યું હતું, બાદમાં આખો કેસ મુંબઇ ખાતે શિફ્ટ કરવામાં આવ્યો હતો. જોકે અમિત શાહે રાષ્ટ્રીય રાજનીતિમાં સક્રીય કામગીરી કરી અને લોકસભામાં ઉત્તર પ્રદેશના પ્રભારી રહેતા પાર્ટીને સૌથી વધારે બેઠકો પર જીત અપાવી. જેના પગલે તેમને પાર્ટીના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા.