સિખો વિરોધી રમખાણો કેસ : 3 ગુનેગારોને આજીવન કેદની સજા
આ ત્રણ અપરાધીઓમાં બલવાન ખોકર (ભૂતપૂર્વ સુધરાઈસભ્ય), ગિરધારી લાલ અને કેપ્ટન ભાગમલનો સમાવેશ થાય છે. જ્યારે અન્ય બે અપરાધી મહેન્દર યાદવ (ભૂતપૂર્વ વિધાનસભ્ય) અને કિશન ખોકરને રમખાણોમાં તેમની ભૂમિકા બદલ ત્રણ-ત્રણ વર્ષની કેદની સજા ફટકારવામાં આવી છે.
સીબીઆઈ તપાસ એજન્સીએ 58 વર્ષના બલવાન ખોકર, 68 વર્ષના ગિરધારી લાલ અને 85 વર્ષના કેપ્ટન ભાગમલને ફાંસીની સજા કરવાની માગણી કરી હતી. આ ત્રણેય અપરાધીને ગઈ 30 એપ્રિલે જિલ્લા અને સેશન્સ જજ જે.આર. આર્યને હત્યા માટે કસુરવાર જાહેર કર્યા હતા.
સીબીઆઈએ કોર્ટમાં ફાંસીની સજાના ટેકામાં એવી દલીલ કરી હતી કે આ ત્રણેય અપરાધીએ પૂર્વયોજિત કોમી રમખાણો કરાવ્યા હતા. જે વિસ્તારમાં રમખાણો થયા હતા ત્યાં બલવાન ખોકરની દાદાગીરી ચાલતી હતી. તેની પાસે કેરોસીનની ડિલરશીપ પણ હતી અને નિર્દોષ શીખો પર હુમલો કરી તેમની હત્યા કરનાર ટોળાનો તે રીંગ લીડર હતો.