મોદીને વાંદરો કહેનારાઓને ગુજરાતની જનતા જવાબ આપશે
ભાજપ નેતા પ્રકાશ જાવડેકરે પત્રકારોને જણાવ્યું હતું કે 'કોંગ્રેસ અભદ્ર ભાષાનો ઉપયોગ કરી રહી છે. મોદીની વાંદરા સાથેની સરખામણી એ મોદીનુ નહી પરંતુ સમગ્ર ગુજરાતનું અપમાન છે અને ગુજરાતની જનતા કોંગ્રેસને આનો જડબાતોડ જવાબ વિધાનસભાની ચૂંટણીમાં જરૂર આપશે. કોંગ્રેસ રાષ્ટ્રીય સ્તરે ગુજરાતની માફી માગે.'
તેમણે જણાવ્યું હતું કે 'ગુજરાતનો આર્થિક વિકાસ, સુશાસન અને બિન ભ્રષ્ટાચાર તરીકે ઉભરી આવતા કોંગ્રેસ હતપ્રભ થઇ ગઇ છે. તેમની પાસે ચૂંટણી માટે કોઇ મુદ્દો રહ્યો નથી માટે તેઓ અભદ્ર વાણી ઉચ્ચારી રહ્યા છે.'
ઉલ્લેખનીય છે કે ભાજપે આ મુદ્દે અર્જુન મોઢવાડીયા વિરૂદ્ધ ચૂંટણી પંચ સમક્ષ ફરિયાદ પણ કરી છે. અને તેમના નિવેદનને આચાકસંહિતાનો ભંગ ગણવાનો આગ્રહ કર્યો છે.
કોંગ્રેસના ગુજરાત પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ જૂનાગઢના મહાસંમેલન અને સુરેન્દ્રનગરના માલધારી સંમેલનમાં વડાપ્રધાનને ગુજરાતમાં ચૂંટણી લડવાનો ફેંકેલા પડકાર અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે 'આતો ઝાડ પર બેઠેલો વાંદરો નીચે ઉભેલા સિંહને લલકારી રહ્યો હોય તેવો ઘાટ છે. વાંદરો બીંકણ હોવાથી ઝાડ પરથી નીચે આવતો નથી અને સિંહ જંગલનો રાજા હોવાથી ઝાડ ઉરક ચડતો નથી.'