'મારપીટના આરોપો બિલકુલ ખોટા..લોકો ક્યાંથી ન્યૂઝ બનાવે છે?'
નાઇટ ક્લબમાં મારપીટના મામલે અભિનેતા અર્જુન રામપાલે સફાઇ આપતાં કહ્યું કે, તેમણે કોઇને હાનિ નથી પહોંચાડી.
દિલ્હી ના નાઇટ ક્લબમાં થયેલ મારપીટ ના મામલે બોલિવૂડ અભિનેતા અર્જુન રામપાલ વિરુદ્ધ એફઆઇઆર નોંધવામાં આવી છે. તેમની પર આરોપ છે કે, તેમણે એક વ્યક્તિ પર કેમેરો ફેંકી તેને ઇજા પહોંચાડી છે. જો કે, આ ખબર મીડિયામાં જાહેર થતાં અર્જુન રામપાલે આ સમાચાર ખોટા હોવાની વાત કહી છે તથા મારપીટના આરોપો નકાર્યા છે. તેમણે કહ્યું કે, આ ધડ-માથા વગરનો આરોપ છે.
ટ્વીટ કરી આપી સફાઇ
અર્જુન રામપાલે આ અંગે ટ્વીટ કરી જણાવ્યું કે, તેમની પર લગાવવામાં આવેલો આરોપ ખોટો છે. તેમણે લખ્યું છે કે, તેમણે કોઇને હાનિ પહોંચાડી નથી. લોકો ખબર નહીં ક્યાંથી ન્યૂઝ બનાવે છે. સવારે ઉઠતાં જ મને આ ખબર મળી. અર્જુન રામપાલ પર લોકોએ અંગે મેસેજીસનો જાણે વરસાદ કરી દીધો, મામલો વધતાં આખરે અર્જુને ટ્વીટ કરી સફાઇ આપી છે.
Woke up to be flooded by messages of assaulting a fan?Man!!Where do people make this news up from?Not assaulted anyone #untrue #fakenews
— arjun rampal (@rampalarjun) April 9, 2017
શું છે આખો મામલો?
ફોટોગ્રાફર અનુસાર શનિવારે તે દિલ્હીમાં પોતાના મિત્રો સાથે નાઇટ કલ્બ ગયો હતો. આ ક્લબમાં અર્જુન રામપાલ ડીજે પ્લે કરી રહ્યાં હતા. આ દરમિયાન ફોટોગ્રાફરે અર્જુન રામપાલની તસવીર લેતાં અર્જુન નારાજ થયા હતા. તેમણે ફોટોગ્રાફરનો કેમેરો ઝુંટવી લઇ ફેંકી દીધો હતો, જે ક્લબમાં હાજર એક વ્યક્તિના માથા પર વાગતા તેને ઇજા પહોંચી હતી.
અહીં વાંચો - "મને આશા હતી કે, નેશનલ એવોર્ડ અમિતાભ બચ્ચનને મળશે.."
પીડિતે જ્યારે જાણવાનો પ્રયત્ન કર્યો કે તેમને શા માટે ઇજા પહોંચાડવામાં આવી, તો તેને બાઉન્સર્સ દ્વારા ક્લબની બહાર કાઢવામાં આવ્યા. પીડિતનું નામ શોભિત હોવાનું જાણવા મળ્યું છે. શોભિતે કહ્યું હતું કે, આ ઘટના શનિવાર સવારે 3.30 વાગે ઘટી હતી. મને ખબર નથી કે અર્જુન રામપાલે શા માટે મારી પર કેમેરો ફેંક્યો. પોલીસ પણ મારી કોઇ મદદ કરવા તૈયાર નથી.