નરેન્દ્ર મોદી સામે સૌથી મોટા વિલન બનશે અરવિંદ કેજરીવાલ
નવી દિલ્હી, 8 ડિસેમ્બર : વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રોકાવા માટે લાલુપ્રસાદ યાદવ, મુલાયમસિંહ યાદવ, નીતિશ કુમાર અને એચડી દેવેગૌડા સહિત અનેક અગ્રણી નેતાઓએ એક સાથે થવાની જાહેરાત કરી છે. આ મહાગઠબંધન કે મહાયુતિના નેતા તરીકે આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલને મહાલીડર બનાવવાની માંગ ઉઠી રહી છે. બીજા શબ્દોમાં કહીએ તો નરેન્દ્ર મોદીની રાહમાં અરવિંદ કેજરીવાલને સૌથી મોટા વિલન બનાવવાની તૈયારી શરૂ થઇ છે.
આ માટે જોવાનું એ રહે છે કે અરવિંદ કેજરીવાલ પોતે આ ગઠબંધનની આગેવાની લઇને મહાવિલન બનવા માટે તૈયાર થાય છે કે નહીં. આ સંદર્ભમાં આરજેડી સાંસદ પપ્પુ યાદવે સોમવારે અરવિંદ કેજરીવાલને યુવાનોના મહાનાયક ગણાવ્યા હતા. તેમણે જણાવ્યું કે જો ત્રીજા મોરચા કે મહાયુતિને સફળ બનાવવી હશે અને નરેન્દ્ર મોદીને રોકવા હશે તો અરવિંદ કેજરીવાલને આ ગઠબંધનમાં સામેલ કરવા અત્યંત જરૂરી છે.
પપ્પુ યાદવે જણાવ્યું કે નરેન્દ્ર મોદી સમાજને વિભાજીત કરવાનું કામ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં સાંપ્રદાયિકતા પર જોખમ વધી ગયું છે. આવી સ્થિતિમાં મોટા સામાજિક મુદ્દાઓને ધ્યાનમાં રાખીને કેજરીવાલને આ યુતિમાં સામેલ કરવાનો પ્રયાસ કરવો જોઇએ.
પપ્પુ યાદવે એમ પણ કહ્યું કે નરેન્દ્ર મોદી સરકાર નફરતનું રાજકારણ રમી રહ્યા છે. તેમના આ રાજકારણને રોકવા માટે સૌએ એક થવાની જરૂર છે. તેમણે જણાવ્યું કે મારું સૂચન વ્યક્તિગત છે, પણ હું મારા અગ્રણી નેતાઓને આ વિશે વાત કરીશ.
તેમણે જણાવ્યું કે આ યુતિમાં કોંગ્રેસ અને ટીએમસીએ પણ જોડાવું જોઇએ. પપ્પુ યાદવે દિલ્હીની ચૂંટણીઓમાં તમામ પાર્ટીઓને અરવિંદ કેજરીવાલને સપોર્ટ કરવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે દિલ્હી ભાજપને રોકવાનો દમ માત્ર આમ આદમી પાર્ટીમાં છે. આવી સ્થિતમાં સૌએ આપની પડખે ઉભા રહેવું જોઇએ.