નારાયણ સાંઇએ 'ઓજસ્વી' પાર્ટીની રચના કરી, રાજકારણમાં ઝંપલાવશે
ચંદીગઢ, 29 ઓક્ટોબર : ગુજરાત પોલીસે સુરતની સગી બહેનો સાથે શારિરીક શોષણ કરવાના કેસમાં આરોપી નારાયણ સાંઇને ભાગેડુ જાહેર કરવાની સાથે તેમની સંપત્તિને જપ્ત કરવાની તૈયારી કરી છે. આ કારણે ભૂગર્ભમાં ઉતરી ગયેલા નારાયણ સાંઇએ તાજેતરમાં ચંદીગઢમાં પોતાની રાજકીય પાર્ટી શરૂ કરવાની ઘોષણા કરી છે. આ પાર્ટીનું નામ 'ઓજસ્વી' રાખવામાં આવ્યું છે.
મહત્વની બાબત એ છે કે ભાગતા ફરતા નારાયણ સાંઇ આ પાર્ટીની રચના સાથે રાજકારણમાં પ્રવેશ કરવા માંગે છે. તેમણે જાહેરાત કરી છે કે તેઓ પાર્ટીના અધ્યક્ષ છે. આગામી દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં તેમણે તમામ 70 બેઠકો પર ચૂંટણી લડવાની જાહેરાત કરી છે.
આ સંદર્ભમાં ઓજસ્વીના પ્રવક્તા અજય દેવનનું કહેવું છે કે નારાયણ સાંઇ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ છે. આ મુદ્દે રવિવારે જંતર મંતર પર એક પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવશે. જેમાં દિલ્હીમાં પાર્ટી વિધાનસભા ચૂંટણી લડશે તેવી જાહેરાત કરવામાં આવશે.
પાર્ટીની ઘોષણા સમયે નારાયણ સાંઇએ જણાવ્યું કે છેલ્લા ઘણા સમયથી મારા સમર્થકો મને રાજકીય પાર્ટીની રચના કરવાનું જણાવી રહ્યા હતા. તેમની માંગણીને ધ્યાનમાં રાખીને આ પાર્ટીની રચના કરવામાં આવી છે.