આસારામની 'રાજદાર' શિલ્પીએ કર્યું આત્મસમર્પણ, ખુલશે ઘણા રહસ્યો
જોધપુર, 25 સપ્ટેમ્બર: કિશોર છોકરી સાથે યૌન શોષણના આરોપમાં આસારામ બાપુની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ લઇ રહી નથી. મળતી માહિતી મુજબ આસારામના છિંદવાડા સ્થિત આશ્રમની વોર્ડન શિલ્પીએ બુધવારે આત્મસમર્પણ કર્યું છે. શિલ્પીએ કોર્ટ દ્વારા અરજી નકારી કાઢ્યા બાદ આત્મસમર્પણ કર્યું છે.
હવે શિલ્પીના આત્મસમર્પણથી આસારામની મુશ્કેલીઓ વધી ગઇ છે. માનવામાં આવે છે કે શિલ્પી પાસે આસારામ સાથે જોડાયેલા ઘણા રહસ્યો છે. શિલ્પી પણ છિંદવાડાના આશ્રમ સાથે જોડાયેલી છે. પીડિતાના અનુસાર શિલ્પીએ જ તેની મુલાકાત આસારામ સાથે કરાવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે આ કેસમાં ધરપકડથી બચવા માટે વોર્ડન શિલ્પીએ આગોતરા જામીન અરજી કરી હતી, જેને જોધપુરની કોર્ટે નકારી કાઢી હતી. ત્યારબાદ પોલીસે સતત તેની તપાસ ચાલુ રાખી હતી.
આ પહેલાં આસારામના બે સહયોગીઓએ રાજસ્થાનમાં જોધપુરની એક કોર્ટમાં ગત શુક્રવારે સમર્પણ કર્યું હતું. બંને સહયોગી પ્રકાશ અને શરદ જોધપુરની સમીપ સ્થિત આસારામના આશ્રમમાં 15 ઓગષ્ટના રોજ કિશોર સાથે થયેલા યૌન શોષણની ઘટનાના કાવતરામાં સામેલ હોવાના આરોપી છે. પીડિત કિશોરી મધ્ય પ્રદેશના છિંદવાડા જિલ્લામાં આવેલા આસારામના આશ્રમની હોસ્ટેલમાં રહેતી હતી. પ્રકાશ અહી રસોઇયો હતો અને શરદ ચંદ્ર હોસ્ટેલનો પ્રભારી હતો.
કિશોરી સાથે યૌન શોષણના આરોપ લાગ્યા બાદ આસારામના કેટલાક આશ્રમોને બંદ કરવાનો દોર તેમના માટે મુશ્કેલી બની ગયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે આસારામને મધ્યપ્રદેશના ઇન્દોરથી એક સપ્ટેમ્બરના રોજ ધરપકડ કરી રાજસ્થાન લાવવામાં આવ્યા હતા અને તેમને જોધપુરની સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવ્યા છે. તેમના એક સહયોગી શિવાને પણ ગુનામાં સાથ આપવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે.