અયોધ્યા કેસ : અડવાણી સામે અપીલમાં વિલંબ અંગે સુપ્રીમે જવાબ માંગ્યો
નવી દિલ્હી, 2 એપ્રિલ : સુપ્રીમ કોર્ટે આજે કેન્દ્રના વરિષ્ઠ વિધિ અઘિકારીને સોગંદનામું દાખલ કરીને બાબરી મસ્જિદ વિધ્વંસ કેસમાં ભાજપના અગ્રણી નેતા લાલકૃષ્ણ અડવાણી અને અન્યોની વિરુદ્ધ અપીલ દાખલ કરવામાં શા માટે વિલંબ થયો તે અંગેનું કારણ દર્શાવવા જણાવ્યું છે.
સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઇ કોર્ટની એ વ્યવસ્થાને પડકારવા અંગે સીબીઆઇએ જે વિલંબ કર્યો તે અંગે પ્રશ્ન કર્યો હતો. જેમાં કહેવામાં આવ્યું હતું કે કાવતરાનો આરોપ અડવાણી અને અન્યો પર દાખલ નહીં થાય.
ઉલ્લેખનીય છે કે સીબીઆઇએ અયોધ્યાના વિવાદિત રામ મંદિર, બાબરી મસ્જિદ ઇમારતને 6 ડિસેમ્બર, 1992ના રોજ તોડી પાડવાના કાવતરાથી ભાજપ અને વિશ્વ હિન્દુ પરિષદના કેટલાક અગ્રણી નેતાઓને મુક્ત કરવાના અલ્હાબાદ હાઇ કોર્ટના નિર્ણયની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો.
નોંધનીય છે કે સીબીઆઇની વિશેષ અદાલતેઆ નેતાઓને અપરાધિક કાવતરું ઘડવાના આરોપોમાંથી મુક્ત કરી દીધા હતા. જેના પર હાઇકોર્ટે પોતાની મહોર પણ લગાવી હતી.