બેંક વિશે આ માહિતી તમારે જાણવી જરુરી
શનિવાર, રવિવાર અને સોમવારે એમ આગામી ત્રણ દિવસ સુધી બેંકો બંધ રહેશે. સોમવારે ઇદના કારણે બેંકોમાં રજા રહેશે...
જો તમે પોતાના બેંકના ખાતામાંથી પૈસા ઉપાડવાનું વિચારી રહ્યા છો તો આજે જ ઉપાડી લો કારણકે બેંકમાં સળંગ ત્રણ દિવસની રજા પડવા જઇ રહી છે. એટલે કે બેંક સીધી મંગળવારે ખુલશે. શનિવાર, રવિવાર અને ઇદને કારણે સોમવારે એમ આગામી ત્રણ દિવસ સુધી બેંક બંધ રહેશે. 10 ડિસેમ્બરે મહિનાનો બીજો શનિવાર છે ત્યારબાદ રવિવારની રજા છે અને સોમવારે ઇદના કારણે બેંકોનું કામ બંધ રહેશે.
તમને જણાવી દઇએ કે કેન્દ્ર સરકારે ઇદ-એ-મિલાદની રજા માટે નવો સર્ક્યુલર જારી કર્યો છે. જે મુજબ કેન્દ્રીય કર્મચારીઓની ઇદ-એ-મિલાદની રજા હવે 12 ડિસેમ્બરે રહેશે. આ પહેલાના સર્ક્યુલરમાં ઇદ-એ-મિલાદની રજા 13 ડિસેમ્બરે હતી પરંતુ હવે સરકારે આમાં બદલાવ કરી દીધો છે. આના કારણે કેન્દ્રીય કર્મચારીઓને સળંગ ત્રણ દિવસની રજા મળી જશે.
કેન્દ્ર સરકારના કર્મચારીઓને રવિવાર અને શનિવારની રજા મળે છે. 12 ડિસેમ્બરે સોમવાર છે એટલે કે શનિવાર, રવિવાર અને સોમવારે કેન્દ્રીય કર્મચારીઓની રજા રહેશે. ઉલ્લેખનીય છે કે મુસ્લિમ ધર્મના પેગમ્બર મોહમ્મદની જયંતિ નિમિત્તે ઇદ-એ-મિલાદનો તહેવાર મનાવવામાં આવે છે. સરકારે સર્ક્યુલરમાં બદલાવ કરીને કેન્દ્રીય કર્મચારીઓને લાંબી રજા મનાવવાનો મોકો આપી દીધો છે.