એફડીઆઇ, મોંઘવારીના વિરોધમાં આજે ભારત બંધ
અમદાવાદ: અમદાવાદમાં આજે સવારથી ભારતબંધની અસર જોવા મળી રહી છે. ભાજપના કાર્યકર્તાઓએ શહેરના મુખ્ય બજારો તેમજ શાસ્ત્રીનગર, ઘાટલોડિયા, મણીનગર વિસ્તારમાં ભાજપના કાર્યકરો દ્વારા બળજબરી દુકાનો બંધ કરાવી રહ્યાં છે. તોડફોડના બનાવ ન બને તે હેતુસર 132 ફૂટ રિંગ રોડ પર બીઆરટીએસની સેવા બંધ કરી દેવામાં આવી છે. અમદાવાદમાં બંધની વ્યાપક અસર જોવા મળી રહી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર અમદાવાદના ભાજપનું વર્ચસ્વ ધરાવતા એવા અમદાવાદના શાસ્ત્રીનગર તેમજ ઘાટલોડિયામાં રાજ્ય પરિવહન તેમજ શહેરી બસોને રોકવામાં આવી હતી. ગુજરાત ભાજપના કાર્યકર્તાઓ મણિનગર રેલવેસ્ટેશન નજીક માલગાડીને થોભાવવામાં આવી છે. આ બંધના એલાનમાં અમદાવાદના મેયર અસિત વોરા પણ જોડાયા છે.
ગાંધીનગર: ભારતબંધના પગલે આજે સવારે 10 વાગ્યાના સુમારે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓએ ગાંધીનગર ઠેર ઠેર દુકાનો, ઓફિસો બંધ કરાવી હતી. ગાંધીનગર ખાતે આવેલા ઇન્ફોસિટીમાં ભાજપના કાર્યકર્તાઓ નરેન્દ્ર મોદીનો જયનાદ કરાતાં ઓફીસો બંધ કરાવી બહાર નીકાળી દીધાં હતાં. ભારતબંધનો સંપૂર્ણપણે અમલ પળાય તે માટે ભાજપના કાર્યકર્તાઓ કમર કસી રહ્યાં છે.
વડોદરા: ભારતબંધના પગલે વડોદરામાં મોટાભાગની દુકાનો બંધ જોવા મળી છે. તેમજ રસ્તાઓ સુમસામ નજરે પડી રહ્યાં છે. રસ્તાઓ પર ટ્રાફિક નહીવત પ્રમાણમાં જોવા મળી રહ્યો છે. બંધના પગલે શાળા અને કોલેજો બંધ કરી વિદ્યાર્થીઓને રજા આપી દેવામાં આવી છે.
ભારતબંધના પગલે સુરત, રજકોટમાં લોકો અવરજર ઓછી જોવા મળી રહી છે. અને સુરત-રાજકોટના હિરાબજારે બંધ પાળ્યો છે.
કંફેડરેશન ઑફ ઑલ ઇન્ડિયા ટ્રેડર્સ જંતર-મંતર પર એક વિરોધ પ્રદર્શન કરવા માટે જઇ રહ્યા છે. શરદ યાદવ, ભાજપના નેતા ડૉ. મુરલી મનોહર જોશી, માર્ક્સવાદી કમ્યૂનિસ્ટ પાર્ટીના મહાસચિવ પાર્ટીના મહાસચિવ પ્રકાશ કારત તથા કમ્યૂનિસ્ટ પાર્ટી ઑફ ઇન્ડિયાના મહાસચિવ એબી વર્ધન સહિત વિભિન્ન પક્ષોના નેતા સામેલ થશે. દેશમાં મોટાભાગની સ્કૂલોમાં રજા આપી દેવામાં આવી છે.
દિલ્હીના ચાંદની ચોક પર પોલિસ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે, કારણ કે થોડીવારમાં ભાજપના કેટલાક મોટા નેતા પ્રદર્શન કરશે અને સંસદ ભવન સુધી માર્ચ કરશે. શક્ય છે પોલીસ આ નેતાઓની અધવચ્ચે ધરપકડ કરી શકે છે. કોઇપણ જાતના અચ્છનિય બનાવ ન બને તે માટે રેપિડ એક્શન ફોર્સને પણ ગોઠવી દેવામાં આવી છે.
બેંગ્લોરના સિલ્કબોર્ડ ચોક પર ભાજપના કાર્યકર્તાઓએ નાના-મોટાં વાહનોને રોકવાનું શરૂ કરી દિધું છે. લખનૌ, મુંબઇ, અને પટણામાં બંધની સામાન્ય અસર વર્તાઇ રહી છે.
ઉત્તરપ્રદેશના અલ્હાબાદ, આગ્રા, મથુરા અને હરિયાણાના ફરીદાબાદ, અમે બિહારના સમસ્તીપુરમાં ભાજપના કાર્યકર્તાઓએ ટ્રેન રોકી હોવાના અહેવાલ મળ્યા છે. જેમાં મથુરામાં ભૂવનેશ્વર એક્સપ્રેસ રોકવામાં આવી તો બીજી દિલ્હી- હાવડા એક્સપ્રેસ ટ્રેક પર ચક્કાજામ કરવામાં આવ્યો હતો. દેશના 75 લાખથી વધુ ટ્રક ચાલકોએ ચક્કાજામ કર્યો છે.
અત્રે ઉલ્લેખનિય છે ભારતબંધ અને રાજકીય પરિસ્થિતિને પગલે શેરબજારમાં નરમાઇ જોવા મળી રહી છે.