પીએમ મોદીની હત્યાના ષડયંત્ર અંગે શિવસેનાએ કર્યો કટાક્ષ
હાલમાં જ માઓવાદીઓની એક ચિઠ્ઠીમાં ધમકી આપવામાં આવી હતી કે પીએમ મોદીની હત્યા એ જ રીતે કરવામાં આવશે જે રીતે પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીની કરવામાં આવી હતી.
હાલમાં જ માઓવાદીઓની એક ચિઠ્ઠીમાં ધમકી આપવામાં આવી હતી કે પીએમ મોદીની હત્યા એ જ રીતે કરવામાં આવશે જે રીતે પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીની કરવામાં આવી હતી. ચિઠ્ઠી મળ્યા બાદ રાજકારણમાં ભૂકંપ આવી ગયો હતો. જો કે વિપક્ષી દળો આને ચૂંટણી પ્રચારનો એક ભાગ જ ગણાવી રહ્યા છે. હવે પીએમ મોદીની હત્યાના ષડયંત્ર મામલે શિવસેનાએ પણ ભાજપને ઘેરતા હુમલો કર્યો છે.
‘સામના' માં ભાજપ પર હુમલો
શિવસેનાએ કહ્યુ છે કે ભાજપે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની રાજીવ ગાંધીની જેમ નિશાન બનવાની જે વાર્તા બનાવી છે તે એક ડરામણી ફિલ્મ જેવી દેખાઈ રહી છે અને હાસ્યાસ્પદ છે. ‘સામના' માં શિવસેનાએ લખ્યુ છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મહારાષ્ટ્રના સીએમ ફડણવીસની હત્યાનું ષડયંત્ર એક ડરામણી ફિલ્મ જેવુ છે અને આવી વાતો ચૂંટણી પહેલા ઘણીવાર સામે આવતી હોય છે.
પીએમ મોદીની સુરક્ષા મામલે રાજનીતિ ઠીક નથી
‘સામના' માં કહેવામાં આવ્યુ છે કે પીએમ મોદીની સુરક્ષા ઈઝરાયેલની ઈન્ટેલિજન્સ એજન્સી મોસાદની જેમ મજબૂત છે અને તેમાં છીંડા પાડવા કોઈના પણ માટે અસંભવ છે. તે જ રીતે મહારાષ્ટ્રના સીએમ ફડણવીસે સચિવાલયને કિલ્લામાં ફેરવી દીધુ છે જ્યાં સામાન્ય જનતા માટે પ્રવેશવુ અસંભવ છે.
પોલિસ દ્વારા જે પણ કહેવામાં આવી રહ્યુ છે તે હાસ્યાસ્પદ
મુખપત્ર ‘સામના' માં શિવસેનાએ સીએમ ફડણવીસની હત્યાના ષડયંત્રના સમાચારોની તુલના કોઈ ડરામણી ફિલ્મ સાથે કરી છે. માઓવાદી પત્રનો હવાલો આપતા કહેવામાં આવ્યુ છે કે પોલિસ દ્વારા જે પણ કહેવામાં આવી રહ્યુ છે તે હાસ્યાસ્પદ છે. ‘સામના' માં એ પણ કહેવામાં આવ્યુ છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મહારાષ્ટ્રના સીએમ ફડણવીસની સુરક્ષાના નામ પર આ પ્રકારની રાજનીતિ ન થવી જોઈએ.