ચાલુ શોમાં સ્મૃતિ ઇરાણી પર નિરૂપમે કરી નાખી અભદ્ર ટિપ્પણી!

બીજેપીએ સંજય નિરૂપમનો બહિષ્કાર કરવાની જાહેરાત કરતા જણાવ્યું કે જે ન્યૂઝ ચેનલમાં તે હશે બીજેપીનો કોઇપણ નેતા ચર્ચામાં ભાગ લેશે નહી. આ ઉપરાંત સ્મૃતિ ઇરાણીએ સંજય નિરૂપમે કાનૂની નોટિસ ફટકારી છે. બીજેપીએ સંજય નિરૂપમની સાથે સાથે કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીને પણ માફી માંગવા આદેશ કર્યો છે.
બીજેપી પ્રવક્તા રવિશંકર પ્રસાદે જણાવ્યું કે અમારી રાષ્ટ્રીય મહિલા મોર્ચાની અધ્યક્ષ સ્મૃતિ ઇરાણી પર પાર્ટીને ગર્વ છે. એક નેતા તરીકે તેમણે સારી કામગીરી કરી છે. બીજેપી પ્રવક્તાએ જણાવ્યું કે કોંગ્રેસ અધ્યક્ષ પોતે એક મહિલા છે માટે અમે સોનિયા ગાંધી પાસે આશા રાખીએ છીએ કે તેઓ પોતાના સાંસદના આ વ્યવહાર માટે માફી માગશે. જો તેવું નહી થયું તો બીજેપી સોનિયા ગાંધી વિરૂદ્ધ પણ વિરોધ પ્રદર્શન કરશે.
ઉલ્લેખનીય છે કે ગુજરાત ચૂંટણીને લઇને ગુરુવારે ચાલી રહેલી ચર્ચા દરમિયાન સંજય નિરૂપમે મોદીને મળેલી જીત પર રમખાણોને લઇને સવાલ ઉઠાવ્યા હતા, સ્મૃતિ ઇરાણીએ તેમને યાદ અપાવ્યું કે 2002 રમખાણો વખતે તેઓ પણ શિવસેનામાં હતા.
સંજય નિરૂપમ ઉશ્કેરાઇ ગયા અને સ્મૃતિ ઇરાણી પર પ્રહારો કરતા જણાવ્યું કે 'સ્મૃતિજી આપ મને મારો ભુતકાળ યાદ અપાવી રહ્યા છો, પરંતુ આપ શું હતા? આપ તો રૂપિયા માટે ટીવી પર ઠૂમકા લગાવતા હતા અને આજે રાજનૈતિક વિશ્લેષક બની ગયા છો?' જોકે એન્કરે નિરૂપમને વ્યક્તિગત ટીપ્પણી કરતા રોક્યા, સ્મૃતિએ પણ તેમની વાતો પર વાંધો ઉઠાવતા જણાવ્યું કે 'કોંગ્રેસ સાંસદ હલકાઇ પર ઉતરી આવ્યા છે. નિરૂપમ અને એ બદમાશોમાં કોઇ અંતર નથી જે દિલ્હીના રસ્તા પર છેડછાડ અને બળાત્કાર કરે છે.'












Click it and Unblock the Notifications
