‘...કારણ કે તેનાથી મારા ઇન્ડિયાને નુક્સાન થાય છે’
નવી દિલ્હી, 24 જાન્યુઆરીઃ આમ આદમી પાર્ટીના સમર્થકો લેખક ચેતન ભગતથી નારાજ થઇ ગયા છે. તેઓ તેમની નારાજગી ગેરવર્તણૂક થકી વ્યક્ત કરી રહ્યાં છે. ‘આપ'ના સમર્થકો ચેતન ભગતને અપશબ્દો કહીં રહ્યાં છે. જે અંગેનો ખુલાસો ફેસબુક પેજ પર ચેતન ભગતે કર્યો છે. ચેતન ભગતે પોતાના ફેસબુક પેજ પર લખ્યું છે કે, અચાનક છેલ્લા બે દિવસોથી ‘આપ' વિરુદ્ધ પોતાના વિચારો રાખવાના કારણે આપ સમર્થકો ભડકી ગયા છે.
ચેતન ભગતે પ્રશ્ન ઉઠાવ્યો કે આ બીજા રાજનેતાઓથી અલગ કેવી રીતે છે, જે વોટ માટે કંઇપણ કરે છે? સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે શું તમારી અને અમારી મિત્રતા માત્ર શરતો પર છે? શું મારે ડરવું જોઇએ કે તમે મારા પુસ્તકને નહીં વાંચો, તેથી હું જે અનુભવુ છું તે ના કહું? ચેતન ભગતે જવાબ આપતા માર્મિકતા સાથે લખ્યું છે કે, મિત્રો, એવું નહીં થાય, હું મારા રસ્તા પર ચાલીશ. હું તમારા વિચારોનું સન્માન કરું છુ, તમારે પણ મારા વિચારોનું સન્માન કરવું પડશે. તેમ છતાં, ધિક્કારવો હોય, ધમકાવવો હોય અને છોડવો હોય તો એ તમારો અધિકાર છે. ચુપ રહીને દેશ તોડવા કરતા દિલોને તોડવા સારા છે.
તમને જણાવી દઇએ કે ચેતન ભગતે દિલ્હીમાં આમ આદમી પાર્ટીના ધરણા માટે આ નવા રાજકીય દળ પર નિશાનો સાધતા તેને રાજકારણની એક આઇટમ ગર્લ કહ્યું છે. જેને લઇને આમ આદમી પાર્ટી તેનો વિરોધ કરી રહી છે.