મુંબઇમાં કોસ્ટ ગાર્ડ્સે વિસ્ફોટકોની શંકાથી વિદેશી જહાજ રોક્યું
આ અંગે પોર્ટના સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે JNPTની પાસેના ઉરણમાં કસ્ટમ્સ અને કોસ્ટ ગાર્ડે આ જહાજને રોક્યું હતુ. ગુપ્તચર એજન્સીએ માહિતી આપ્યા બાદ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગુપ્તચર એજન્સીઓએ કસ્ટમ્સ અને કોસ્ટ ગાર્ડને એલર્ટ કર્યા હતા કે જહાજમાં વિસ્ફોટકો હોઈ શકે છે. ત્યાર બાદ તેમણે જહાજની તપાસ શરૂ કરી હતી.
જો કે હજુ સુધી એ સ્પષ્ટ નથી થઈ શક્યું કે, જહાજમાં આખરે છે શું? તપાસ એજન્સીઓએ આ જહાજનાં રૂટ વિષે હાલ કોઇ પણ પ્રકારની વિગતો જણાવી નથી. આ સમગ્ર ઘટના અંગે માત્ર એટલી જાણકારી મળી છે કે તપાસ થઈ રહી છે.
નોંધનીય છે કે ભારતમાં થોડા સમય પહેલા હૈદરાબાદમાં ટ્વિન બ્લાસ્ટ કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ દેશના અગ્રણી શહેરોમાં વિસ્ફોટો કરવાની ત્રાસવાદીઓની યોજના અંગે અવારનવાર ગુપ્તચર તંત્ર એલર્ટ આપતું રહ્યું છે. ત્યારે જો જહાજમાં મોટી સંખ્યામાં વિસ્ફોટકો મળી આવે તો તંત્રને મોટું કાવતરું નિષ્ફળ બનાવવામાં સફળતા મળી કહેવાશે. આ મુદ્દે વધારે તપાસ કર્યા બાદ જહાજ અંગે આગળની કાર્યવાહી કરવામાં આવશે.