દિલ્હી: ગાઝીપુરમાં કચરાના પહાડ નીચે દબાઇને 2 લોકોનું મૃત્યુ
દિલ્હીના ગાઝીપુરમાં કચરાનો પહાડ ધસતા 2 લોકોનું મૃત્યુ. કચરાના આ પહાડની ઊંચાઇ 10 માળની ઇમારત કરતા પણ વધુ હતી.
દેશની રાજધાની દિલ્હીમાં એક આશ્ચર્યજનક બનાવ બન્યો છે. પૂર્વ દિલ્હી સ્થિત ગાઝીપુર પાસે ઊભા થયેલ કચરાના મોટા પહાડમાંથી એક ભાગ પડી જતાં દુર્ઘટના થઇ હતી. કચરાના પહાડ નીચે દબાઇને બે વ્યક્તિઓનું મૃત્યુ થયું હોવાની જાણકારીની પુષ્ટિ થઇ છે. મયૂર વિહારના એસડીએમ અજય અરોરાએ જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં બે શબ બહાર કાઢવામાં આવ્યા છે અને 5 લોકોને બચાવવામાં આવ્યા છે. આ ઘટનાની ગંભીરતાને જોતાં એનડીઆરએફની ટીમો પણ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. સાથે જ ફાયર બ્રિગેડ અને અન્ય રાહત-બચાવની ટુકડીઓ પણ ઘટનાસ્થળે પહોંચી હતી.
પૂર્વ દિલ્હી નગર નિગમના કમિશનર રણબીર સિંહે જણાવ્યું હતું કે, બાચવ કાર્ય ચાલુ છે. આ ઘટના પાછળનું કારણ શું છે, એ હજુ સ્પષ્ટ નથી. તપાસ બાદ જ સાચું કારણ જાણી શકાશે. દિલ્હીના ગાઝીપુરના મંડી પાસેનો આ બનાવ છે. અહીં કચરાનો એક મોટો પહડ ઊભો થયો છે, જેનો એક ભાગ શુક્રવારે બપોરે બાજુમાંથી પસાર થતા નાળામાં પડ્યો હતો. આને કારણે નાળાનું પાણી રસ્તા પર ફરી વળ્યું હતું. આ પાણીનું વહેણ ઘણું વધારે હોવાથી અનેક લોકો તણાઇ જવાના પણ સમાચાર મળ્યા હતા.
કચરાનો પહાડ
દિલ્હીના ગાઝીપુરમાં આવેલ કચરાનો આ પહાડ એટલો મોટો છે કે, નોયડાની કોઇ ઇમારત પર ઊભા રહેતાં પણ નજરે પડે છે. કચરાના પહાડની ઊંચાઇ કોઇ 10 માળની ઇમારત કરતાં પણ વધારે છે. ગાઝીપુરની વચ્ચો-વચ્ચ આ કચરાનો પહાડ છે. દિલ્હીનો એક તૃતીયાંશ કચરો ટ્રકો દ્વારા અહીં લાવવામાં આવે છે. લગભગ 70 એકર જમીન પર ફેલાયેલા આ ડંપિગ ગ્રાઉન્ડમાં લગભગ રોજ આગ લાગે છે. આની આસપાસ નાના-નાના બાળકો અને રોજી શોધવાવાળા અનેક લોકો જોવા મળે છે. આ કચરામાં લાગતી ઝેરીલી મીથેન આગને કારણે અનેક લોકોના જીવ જોખમમાં મુકાય છે. સરકારને અનેક વાર આ વધતા જતા કચરાના પહાડ અંગે જાણકારી આપાવમાં આવી હતી, પરંતુ આ અંગે કોઇ પગલું લેવાયું નહોતું.