દેશના દુશ્મન સાથે યાસીનની મિત્રતા, પાસપોર્ટ થઇ શકે છે રદ
નવી દિલ્હી, 12 ફેબ્રુઆરીઃ કાશ્મિરના અલગાવવાદી નેતા યાસીન મલિક અને મુંબઇ આતંકી હુમલા(26/11)ના માસ્ટર માઇન્ડ હાફિઝ સઇદ એક મંચ પર સાથે હોવાની તસવીર સામે આવતા દેશના રાજકારણમાં ભૂંકપ સર્જાયો છે. સમાચારો અનુસાર સરકારે યાસીન મલિકને પોતાના રડારમાં લીધો છે અને તેના પાસપોર્ટ રદ કરવાનું વિચાર્યું છે. સોમવારે જ્યારે આ સંબંધમાં કેન્દ્રીય ગૃહ મંત્રી સુશીલ કુમાર શિંદેને પુછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે હું આ મામલે ધ્યાન આપીશ. સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો સૌથી મોટો મામલો એ છે કે ભારતીય પાસપોર્ટ પર હાફિઝ સઇદને મળવું કેટલું ઘાતક હોઇ શકે છે એ વાતનો અંદાજો લગાવી શકાય તેમ નથી.
ભાજપનું કહેવું છે કે અફઝલને મોડી ફાંસી આપીને યુપીએ સરકાર ભલે પોતાની પીઠ થપથપાવી રહી હોય પરંતુ આતંકવાદી પર તેની નબળી નીતિના કારણે જ દેશમાં રહેતો એક શખ્સ, દેશનો પાસપોર્ટ લઇને , દેશના સૌથી મોટા દુશ્મન સાથે એક મંચ પર જોવા મળી રહ્યો છે.
નોંધનીય છે કે આ પહેલીવાર નથી થયું કે જ્યારે કોઇ કાશ્મિરી નેતાએ હાફિઝ સઇદ સાથે મુલાકાત કરી હોય. આ પહેલા પણ ગયા વર્ષે ડિસેમ્બરમાં મીરવાઇઝ ઉમર ફારુખના નેતૃત્વમાં હુરિયત કોન્ફ્રેન્સનું એક પ્રતિનિધિમંડળ પોતાની પાકિસ્તાની યાત્રા દરમિયાન હાફિઝ સઇદ અને હિઝબુલ મુઝાહિદ્દિન પ્રમુખ સઇદ સલાહુદ્દીન સાથે મુલાકાત કરી હતી.