ભડકાઉ ભાષણ: ઓવૈસીના જામીન મંજૂર, છતાં રહેવું પડશે જેલમાં
એમઆઇએમના નેતા અકબરુદ્દીન ઓવૈસીને ભડકાઉ ભાષણ આપવાના મામલે 8 જાન્યુઆરીના રોજ ધરપકડ કરવામાં આવ્યો હતો. ત્યારથી અકબરુદ્દીન આદિલાબાદની જેલમાં કેદ હતા. 12 ફેબ્રુઆરીના રોજ કોર્ટે અકબરૂદ્દીનના રિમાન્ડ 26 ફેબ્રુઆરી સુધી વધારી દીધા હતા. અકબરૂદ્દીનનો અવાજ પણ તપાસ માટે રેકોર્ડ કરવામાં આવ્યો હતો.
હૈદરાબાદમાં એક સભાને સંબોધિત કરતા તેમણે એમઆઇએમના વિધાયક ઓવૈસીએ એક ધર્મ વિરૂદ્ધ અભદ્ર ભાષા પ્રયોગ કર્યો હતો. આ સમાચાર મીડિયામાં આવ્યા બાદ કોર્ટે સુઓમોટો લઇને તેની સામે બિનજામીની ધરપકડ વોરન્ટ જારી કર્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે ભડકાઉ ભાષણ આપ્યા બાદ ઓવૈસી લંડન હોવાથી તેમની સામે કોઇ કાર્યવાહી થઇ શકી ન્હોતી. બાદમાં તેઓ 7 જાન્યુઆરીના રોજ હૈદરાબાદ પરત ફર્યા હતા. જોકે ઓવૈસી ખરાબ સ્વાસ્થ્યનો હવાલો આપીને પોલીસ તપાસમાંથી બચી ગયા હતા. 8 જાન્યુઆરીના રોજ આખા દિવસના નાટકીય ઘટના બાદ આખરે અકબરુદ્દીન ઓવૈસીની પોલીસે ધરપકડ કરી લીધી હતી.