વેરની વસુલાત: હૈદરાબાદ બ્લાસ્ટ અફઝલ ગુરૂની ફાંસીનો બદલો!
સાઇબરાબાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા કોર્ણાક અને વેંકટાદિરી થિયેટરો નજીક એક ઢાબાની બહાર બે સાયકલો પર બાંધવામાં રાખવામાં આવેલા આઇઇડી વિસ્ફોટ વ્યસ્ત સમયે થયો હતો જ્યારે ઘટનાસ્થળે ઘણા લોકો હાજર હોવાથી અફરાતફરી મચી હતી અને લોકો સુરક્ષા માટે આમતેમ દોડધામ કરવા લાગ્યા હતા.
સૂત્રો દ્રારા કહેવામાં આવી રહ્યું છે કે હૈદરાબાદ બ્લાસ્ટ અફઝલ ગુરૂની ફાંસીનો બદલો છે જે આતંકવાદીઓએ લીધો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સંસદ હુમલાના ગુનેગાર અફઝલ ગુરૂની ફાંસી બાદ પાકિસ્તાનમાં આતંકવાદી સંગઠનોની બેઠક યોજાઇ હતી અને તે બેઠક બાદ દેશની ગુપ્તચર એજન્સીએ એલર્ટ જાહેર કરી દિધો છે. કહેવામાં આવે છે કે અફઝલ ગુરૂની ફાંસી બાદ પાકિસ્તાન યૂનાઇટેડ જેહાદ કૌંસિલે વેર લેવાની વાત કરી હતી.
કહેવામાં આવે છે કે પાકિસ્તાનમાં થયેલી આ બેઠકમાં હૂઝી, લશ્કર, જૈશ, હિઝબુલ, મુઝાહિદ્દીન જેવા આતંકવાદી સંગઠનો સામેલ હતા. કહેવામાં આવે છે આ આતંકવાદી હુમલાનું કાવતરું આતંકવાદીઓએ પાકિસ્તાનમાં રચ્યું હતું.
હૈદરાબાદમાં ધમાકા બાદ કેન્દ્રિય ગૃહ મંત્રી સુશીલ કુમાર શિંદેએ કહ્યું હતું કે બે દિવસ પહેલાં જ જાણકારી આપવામાં આવી હતી કે બ્લાસ્ટ થઇ શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે સંસદ હુમલાના આરોપી અફઝલ ગુરૂને ફાંસી આપ્યા બાદ સીમા પારથી આતંકવાદી સંગઠનોએ બદલો લેવાનું એલાન કરી દિધું હતું. ગુપ્તચર એજન્સીઓએ કાશ્મીરમાં લશ્કર-એ-તોઇબા અને જૈશ-એ-મોહંમદ જેવા આતંકવાદી સંગઠનો દ્રારા મોકલવામાં આવેલા કેટલાક સંદેશને પણ રેકોર્ડ કરવામાં આવ્યાં છે જેમાં અફઝલ ગુરૂની મોતનો બદલો લેવાનું કહેવામાં આવ્યું છે.