મોદીને 'માનવ-બોમ્બ'થી ઉડાવવાનો ખતરો વધ્યો
નવી દિલ્હી, 4 ડિસેમ્બર: ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાન પદના ઉમેદવાર અને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની લોકપ્રિયતામાં જે રીતે વધી રહી છે, તે જ રીતે તેમની પર આતંકવાદી હુમલાનો ખતરો પણ વધતો જઇ રહ્યો છે.
મોદી પર આતંકવાદીઓએ હુમલાના ષડયંત્રને લઇને ગૃહમંત્રાલય પણ ઘણી વખત એલર્ટ જારી કરી ચૂક્યું છે. તેમની સુરક્ષાને લઇને એજન્સીઓન પર દબાણ પડી રહ્યું છે. આવામાં એકવાર ફરી એવો ખુલાસો થયો છે કે મોદી આતંકવાદી અને કટ્ટરપંથીઓના નિશાના પર છે અને તેમને આત્મઘાતી હુમલાખોરો પોતાનો નિશાનો બનાવી શકે છે.
સ્ટૂડેન્ટ્સ ઇસ્લામિક મૂવમેન્ટ ઓફ ઇન્ડિયા એટલે કે સિમીના ધરપકડ કરાયેલા બે આતંકવાદીએ પૂછપરછ દરમિયાન આ જાણકારી આપી કે આતંકવાદી ખાસ કરીને ઇન્ડિયન મુજાહિદ્દીન મોદીને માનવ બોમ્બથી ઉડાવવાના ફિરાકમાં છે.
એક અંગ્રેજી વેબસાઇટમાં છપાયેલા સમાચાર અનુસાર છત્તીસગઢની રાજધાની રાયપુરથી ધરપકડ કરવામાં આવેલ ઉમર સિદ્દીકી અને અઝહરે રાષ્ટ્રીય તપાસ એજન્સી એટલે કે એનઆઇની પૂછપરછમાં આ વખતની જાણકારી આપી અને ખુલાસો કર્યો કે મોદી પર માનવબોમ્બથી હુમલાનું જોખમ વધી ગયું છે.
ઉલ્લેખનીય છે કે 27 ઓક્ટોબરના રોજ બિહારની રાજધાની પટણાના ગાંધી મેદાનમાં મોદીની હુંકાર રેલી હતી. આ રેલીમાં આતંકવાદીઓએ શ્રેણીબદ્ધ છ વિસ્ફોટો કર્યા હતા, જેમાં 6 લોકોના મોત થયા હતા. ત્યારબાદથી તેમની સુરક્ષા વધારી દેવામાં આવી છે.