સૌર ઊર્જા: સરકારની નવી માર્ગદર્શિકાથી શું ફાયદો થશે?
ઊર્જા વિભાગ દ્વારા સૌર ઊર્જાની ખરીદી સાથે સંબંધિત નવું ટેરિફ પ્લાન અને માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે.
મોદી સરકારની નીતિઓને કારણે ભારત વીજળી અને સૌર ઊર્જાના ક્ષેત્રે આત્મનિર્ભર બની રહ્યું છે અને સાથે જ સૌર ઊર્જાના ક્ષેત્રમાં એક બહુ મોટું બજાર પણ સામે આવ્યું છે. છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલી યોજનાઓનો આમાં બહુ મોટો ફાળો છે. ઊર્જા ક્ષેત્રની નાની-મોટી સમસ્યાઓ દૂર કરવા માટે લાગુ કરવામાં આવેલ આ યોજનાઓના ઘણા મોટા પરિણામો સામે આવ્યા છે. ઊર્જા વિભાગ દ્વારા સૌર ઊર્જાની ખરીદી સાથે સંબંધિત એક નવું ટેરિફ પ્લાન બહાર પાડવામાં આવ્યું હતું અને સાથે જ બોલીની પ્રક્રિયા માટેની નવી માર્ગદર્શિકા પણ બહાર પાડવામાં આવી છે. પવન ઊર્જા સિવાયના તમામ નવીનીકરણીય વીજ પ્રોજેક્ટ માટે હાલના તબક્કે આ જ વલણ અપનાવવાની સલાહ આપવામાં આવી છે. જેનો સીધો ફાયદો ગ્રાહકોને મળશે અને ખરીદ પ્રક્રિયામાં પારદર્શકતા અને નિષ્પક્ષતા વધારવામાં પણ મદદ મળશે.
3 ઓગસ્ટના રોજ ઇલેક્ટ્રિસિટી એક્ટ, 2003ની કલમ 63ની જોગવાઇ હેઠળ આ માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. પ્રતિસ્પર્ધી બાલીના માધ્યમથી વીજળીની લાંબા ગાળાની ખરીદી કરતા લાયસન્સધારી વિતરણકર્તા, જે 5 મેગાવૉટ કે એનાથી વધુ ક્ષમતાની ખરીદી કરે છે તેમને માટે આ માર્ગદર્શિકા છે. જે ઊર્જા વિભાગની વેબસાઇટ www.mnre.gov.in પર પણ મુકવામાં આવી છે.
ઊર્જા વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલ માર્ગદર્શિકા દ્વારા વીજ ખરીદના પ્રક્રિયા પારદર્શક બનશે. ખરીદીમાં સમાવિષ્ટ થતાં વિવિધ હિતધારકો વચ્ચે જોખમ સમાન રીતે વહેંચાઇ જશે. આનાથી ઓફ-ટ્રેકર જોખમ ઓછું કરવામાં પણ મદદ મળશે અને આ દ્વારા આ ક્ષેત્રમાં થતા રોકાણને પ્રોત્સાહન મળશે. આ ક્ષેત્ર સંબંધિત યોજનાઓની બેંકિંગ ક્ષમતામાં પણ વૃદ્ધિ થશે તથા રોકાણકારોના નફામાં પણ વધારો થશે.
ભારત દ્વારા વિશ્વનો સૌથી મોટો નવીનીકરણીય શક્તિ વિસ્તરણ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે અને આ પ્રક્રિયા માટે સૌર ઊર્જા એક નિર્ણાયક તત્વ છે. પારદર્શક કામગીરી અને સક્ષમ વાતાવરણ દ્વારા સરકારે સૌર ઊર્જાનું ટેરિફ ઘટાડવામાં મદદ કરી છે. હાલ સૌર ઊર્જાનો ભાવ એક યુનિટ દીઠ રૂ.2.44 છે.