ભારતીય ગીતકાર ગુલઝારે પાકિસ્તાનની માફી માંગી
આયોજકોના જણાવ્યા મુજબ ગુલઝારે પોતાના પત્રમાં સ્પષ્ટ કર્યું છે કે પાકિસ્તાન પ્રવાસ અધવચ્ચે છોડવાનો તેમનો અંગત નિર્ણય હતો. તેમણે પત્રમાં લખ્યું છે કે પોતાના જન્મ સ્થળ દીનાના પ્રવાસ બાદ તેઓ એટલા બધા અસહજ અનુભવવા લાગ્યાં કે જેથી તેમણે મુંબઈ પરત ફરવું પડ્યું.
પાકિસ્તાની સમાચાર પત્ર ડૉનના જણાવ્યા મુજબ ગીતકાર ગુલઝારે સાહિત્ય સમ્મેલનમાં ભાગ ન લઈ શકવા બદલ પાકિસ્તાનના લોકોની માફી માંગી છે. અખબારે ગુલઝારના પત્રની ચર્ચા કરતાં લખ્યું છે કે ગુલઝાર લાહોરમાં રોકાણ દરમિયાન પોતાના પૈતૃક શહેર દીના ગયા હતાં કે જ્યાં તેમણે પોતાના ઉસ્તાદ અહેમદ નદીમ કાસમીને પણ શ્રદ્ધાંજલિ અર્પી હતી, પરંતુ ત્યાંથી પરત ફર્યા બાદ તેઓ પોતાની છાતીમાં અકળાટ અનુભવવા લાગ્યાં. હોટેલ પહોંચ્યા બાદ પણ તેઓ અનુકૂળ અનુભવી નહોતા શકતાં. તેથી તેમણે મુંબઈ પરત ફરવાનો ફેંસલો કર્યો.
હકીકતમાં અફઝલ ગુરૂની ફાંસી બાદ ભારત-પાકિસ્તાન સરહદે તણાવ ઉભુ થયુ હતું. પાકિસ્તાનમાં પણ અફઝલની ફાંસી સામે વિરોધ શરૂ થઈ ગયો હતો. તેથી સલામતી મુદ્દે ભારતીય હાઈકમિશને ગીતકાર ગુલઝારને ભારત પરત ફરવા જણાવ્યુ હતું.