ભારતની નેવિગેશન સેટેલાઇટ લોન્ચ કરવાની તૈયારી
ચેન્નાઇ, 1 જુલાઇ : ભારતનો પોતાનો અને પ્રથમ નેવિગેશન સેટેલાઇટ આઇઆરએનએસએસ - 1એ (IRNSS - 1A) સોમવારે મઘ્યરાત્રિની આસપાસ શ્રીહરિકોટા અંતરિક્ષ કેન્દ્રમાંથી છોડવામાં આવશે. આઇઆરએનએસએસ - 1એના લોન્ચિંગને ભારતના સમુદ્રી નૌવહન અને કિનારાની સીમા પર નજર રાખવા માટે અત્યાર સુધી રાખવી પડતી અન્ય દેશો પરની નિર્ભરતાને દૂર કરવાની દિશામાં મહત્વનું પગલું માનવામાં આવે છે.
ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ઇસરો)ના અંતરિક્ષ અભિયાનની મહત્વની કડી પીએસએલવી - સી22 રોકેટ મારફતે તેને શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્રમાંથી રાત્રે 11.41 વાગે લોન્ચ કરવામાં આવશે. આ અંગે ઇસરોના પ્રવક્તા દેવી પ્રસાદ કર્ણિકે રવિવારે જણાવ્યું કે આ લોન્ચિંગ માટે સાડા ચોસઠ કલાકનું કાઉન્ટડાઉન શનિવારે સવારે 7.11 કલાકે શરૂ કરવામાં આવ્યું હતું.
1425 કિલો વજનના આઇઆરએનએસએસ - 1એ ઇન્ડિયન રિજનલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમનો પ્રથમ ઉપગ્રહ છે. આ સેટેલાઇટ 10 વર્ષ સુધી સેવા આપશે. તેની મદદથી ભારતના 1500 કિલોમીટરના દાયરામાં રિયલ ટાઇમ પોઝિશનિંગ અને ટાઇમિંગની ચોક્કસ માહિતી મળી શકશે. આ સેટેલાઇટમાં બે પ્રકારના પેલોડ રહેશે. જેને 20 મીનિટના અંતરે અંતરિક્ષમાં છોડવામાં આવશે. આ શ્રેણીના 7 ઉપગ્રહોને વર્ષ 2015 સુધીમાં લોન્ચ કરવાનું આયોજન છે.