યુક્રેનની મદદ કરશે ભારત, આ મોટી જાહેરાત કરી!
રશિયાના હુમલાનો સામનો કરી રહેલા યુક્રેનને ભારત સરકાર દ્વારા દવાઓ અને અન્ય સહાય મોકલવામાં આવશે. સોમવારે વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે અમે યુક્રેનને દવાઓ અને અન્ય માનવતાવાદી સહાય મોકલીશું.
નવી દિલ્હી, 28 ફેબ્રુઆરી : રશિયાના હુમલાનો સામનો કરી રહેલા યુક્રેનને ભારત સરકાર દ્વારા દવાઓ અને અન્ય સહાય મોકલવામાં આવશે. સોમવારે વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે અમે યુક્રેનને દવાઓ અને અન્ય માનવતાવાદી સહાય મોકલીશું. આ સાથે વિદેશ મંત્રાલય દ્વારા એ પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને સુરક્ષિત બહાર લાવવા માટે તમામ સંભવિત પગલાં લેવામાં આવશે. જો જરૂર પડશે તો ભારતીય વાયુસેનાની પણ મદદ લેવામાં આવશે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ સોમવારે તેમની પ્રેસ બ્રીફિંગમાં જણાવ્યું હતું કે, અમે તમામ ભારતીય નાગરિકો અને વિદ્યાર્થીઓને પશ્ચિમ યુક્રેન તરફ જવા માટે વિનંતી કરીએ છીએ પરંતુ ત્યાંની સરહદ પર સીધા ન જાવ. બોર્ડર પર ઘણી ભીડ છે, તેથી નજીકના શહેરને ઘર બનાવો. અમારી ટીમો ત્યાં મદદ કરશે. અમે સ્થળાંતર પ્રક્રિયાનું સંકલન અને નિરીક્ષણ કરી રહ્યા છીએ અને તમામ સહાય પૂરી પાડવામાં આવશે.
બાગચીએ ધ્યાન દોર્યું છે કે ભારત પાસે મોલ્ડોવા થઈને નવો માર્ગ પણ છે, જે હવે શરૂ થઈ ગયો છે. તેમજ અમારી ટીમો રોમાનિયા મારફતે ભારતીયોને બહાર કાઢવામાં મદદ કરશે. તેમણે કહ્યું કે અત્યાર સુધીમાં લગભગ 1,400 ભારતીય નાગરિકોને લઈને છ ફ્લાઈટ ભારતમાં આવી ચુકી છે. બુકારેસ્ટ (રોમાનિયા) થી ચાર અને બુડાપેસ્ટ (હંગેરી) થી બે ફ્લાઈટ છે. ભારત સરકાર દ્વારા એડવાઈઝરી જારી કરવામાં આવ્યા બાદ લગભગ 8,000 ભારતીય નાગરિકો યુક્રેન છોડીને અન્ય દેશોમાં ગયા છે.
અરિંદમ બાગચીએ જણાવ્યું કે ભારત સરકારે યુક્રેનની સરહદે આવેલા ચાર દેશોમાં વિશેષ દૂત મોકલવાનો નિર્ણય લીધો છે. કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા રોમાનિયા જશે, કિરેન રિજિજુ સ્લોવાક રિપબ્લિક જશે, હરદીપ સિંહ પુરી હંગેરી જશે, વીકે સિંહ પોલેન્ડ જશે. કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા પણ મોલ્ડોવામાં સ્થળાંતર પ્રક્રિયાની દેખરેખ રાખશે.
તમને જણાવી દઈએ કે રશિયાએ 24 ફેબ્રુઆરીએ યુક્રેન પર હુમલો કર્યો હતો. આ પછી બંને દેશો વચ્ચે સતત સંઘર્ષ ચાલી રહ્યો છે. ભારતના ઘણા લોકો યુક્રેનમાં પણ ફસાયેલા છે. ખાસ કરીને મેડિસિનનો અભ્યાસ કરતા લગભગ 14 થી 15 હજાર ભારતીય વિદ્યાર્થીઓ ત્યાં ફસાયેલા છે. જેઓ બહાર નીકળવાનો પ્રયાસ કરી રહ્યા છે તે ભારત સરકાર દ્વારા કોશિશ કરવામાં આવી રહી છે.