દેવયાની ભારત આવવા માટે રવાના, અમેરિકામાં ચાલશે કેસ
નવી દિલ્હી, 10 જાન્યુઆરી: તમામ કયદાકીય દાવપેચોની વચ્ચે ભારતીય રાજદૂત દેવયાની ખોબરાગડે આખરે અમેરિકાથી ભારત પરત ફરી રહી છે. રાજદ્વારી સંરક્ષણ અનુસાર અમેરિકાએ દેવયાનીને જી-1 વિઝા આપી દીધા છે. વિદેશ મંત્રાલયના સૂત્રો અનુસાર ભારતે તેમને પરત બોલાવવાનો નિર્ણય કર્યો છે. દેવયાની ન્યૂયોર્કથી ભારત આવવા માટે રવાના થઇ ગઇ છે.
રવાના થયા પહેલા દેવયાનીએ જણાવ્યું કે તેમની પર લાગેલા આરોપ ખોટા છે અને તેઓ નિર્દોષ છે. દેવયાનીએ ભારત સરકાર ખાસ કરીને વિદેશ મંત્રી, ભારતની જનતા અને મીડિયા દ્વારા મજબૂત અને સતત સમર્થન મળવા પ્રત્યે આભાર વ્યક્ત કર્યો. તેમણે જણાવ્યું કે તેઓ આ સ્વદેશ આવીને આ ઘટનાક્રમ અંગે વાત કરશે અને તેઓ ઇચ્છે છે કે આ ઘટનાથી તેમના બાળકો પર કોઇ અસર ના પડે. તેમના બાળકો હજીએ અમેરિકામાં જ છે.
જોકે ભારતે અમેરિકાના એ અનુરોધને ઠુકરાવી દીધો હતો જેમાં તેમણે દેવયાની ખોબરાગડે પર સંરક્ષણ હટાવવાની માંગ કરી હતી. જો દેવયાની પરથી સંરક્ષણ હટી જતું તો તેમની પર કેસ ચાલી શકતો હતો, પરંતુ ભારત આની માટે તૈયાર થયું નહીં અને હવે દેવયાને દેશ છોડવાનો અનુરોધ કરવામાં આવ્યો છે.