J&K: પાકિસ્તાને ફરી કર્યું યુદ્ધ વિરામનું ઉલ્લંઘન, 2ના મોત
જમ્મુ-કશ્મીરના પુંછ વિસ્તારમાં સોમવારે સવારે પાકિસ્તાને ફરી યુદ્ધ વિરામનુ ઉલ્લંઘન કર્યું હતુ. જેમાં બેના મોત અને પાંચ લોકો ઘાયલ થયા હતા. આ અંગે વધુ વાંચો અહીં..
પાકિસ્તાને ફરી જમ્મુ અને કાશ્મીરમાં યુદ્ધ વિરામનુ ઉલ્લંઘન કરતા ગોળીબાર કર્યો હતો. ભારત દ્વારા વારંવાર ચેતવણી આપવા છતાં પાકિસ્તાને સોમવારે સવારે પુંછ વિસ્તારમાં ગોળીબાર કર્યો હતો, જેમાં પાંચ લોકો ઘાયલ થયા છે અને બે વ્યક્તિનુ મૃત્યુ થયુ છે, જેમાં એક 10 વર્ષના બાળકનો પણ સમાવેશ થાય છે. તો બીજી તરફ જમ્મુ-કશ્મીરના કેરન સેક્ટરમાં પણ સેનાને કોઈ પ્રવૃત્તિ થતી જણાતા તપાસ ચાલી રહી હતી. જ્યાં પાકિસ્તાની સેનાની BAT દ્વારા આંતકીઓને ભારતમાં ઘુસણખોરી કરવામાં મદદ કરવામાં આવી હતી, જેને ભારતીય સેનાએ નિષ્ફળ કરી હતી.
કેરન સેક્ટરમાં સર્ચ ઓપરેશન ચાલુ
જમ્મુ અને કશ્મીરના કેરન સેક્ટરમાં સેના દ્વારા સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યુ છે, જેમાં મળતી માહિતી અનુસાર એક આતંકવાદીને ઠાર કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનની BAT એક્શન ટીમ આતંકવાદીઓને લોન્ચિંક પેડથી ભારતની સીમામાં ઘુસણખોરી કરવામાં મદદ કરી રહી હતી. એ સમયે સેનાના આ ઓપરેશને તેમની હરકતને પુરી થવા દીધી ન હતી.
આ વિસ્તારમાં સુરંગ મળી આવી
થોડા દિવસો પહેલા ભારતીય સેનાને જમ્મુ-કાશ્મીરના આરનિયા સેક્ટરમાંથી એક સુરંગ મળી આવી હતી. સુરંગ અંગે બીએસએફના આઈજી રામ અવતારે જણાવતાં કહ્યું કે, અમને થોડા સમય પહેલા સંદિગ્ધ કામો થતા હોવાની જાણકારી મળી હતી. સર્ચ ઓપરેશન કરતા અમને 13 થી 14 ફુટ લાંબી સુરંગ મળી આવી છે.
સાત માસ બાદ થઈ ફ્લેગ મિટિંગ
શુક્રવારના રોજ સાત મહિના બાદ બીએસએફ અને પાકિસ્તાની રેંજર્સ વચ્ચે ફ્લેગ મિટિંગ થઈ હતી. બંન્ને પક્ષોની આ મિટિંગ આંતરરાષ્ટ્રીય સીમાના સુચેતગઢ સેક્ટરમાં થઈ હતી. જે 105 મિનિટ જેટલી લાંબી ચાલી હતી. પાકિસ્તાની રેંજર્સ ઘણા સમયથી બેઠકની માંગ કરી રહ્યા હતા તેથી બીએસએફ દ્વારા તેનું આયોજન કરવામાં આવ્યુ હતું.