જયલલિતાએ NDCની બેઠક અધવચ્ચેથી છોડી
આજે 12મી પંચવર્ષીય યોજનાના આયોજન અંગે ચર્ચા કરવા માટે દિલ્હીના વિજ્ઞાન ભવનમાં દેશના તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓની હાજરીમાં બેઠક યોજાઇ છે. દેશના વડાપ્રધાન મનમોહન સિંહની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં આયોજન પંચના વડા મોન્ટેક સિંહ અહલુવાલિયાએ બેઠકના પ્રારંભમાં જણાવી દીધું હતું કે સમય ઓછો હોવાથી મુખ્યમંત્રીઓને પોતાની વાત રજૂ કરવા માટે ઓછો સમય મળશે.
મુખ્યમંત્રીઓને પોતાના મુદ્દાઓ રજૂ કરવા માટે 10 મિનિટનો સમય ફાળવવામાં આવ્યો હતો. તમિલનાડુના મુખ્યમંત્રી જયલલિતા બોલવા ઉભા થયા હતા. 10 મીનિટ થઇ જતા બેલ વાગ્યો હતો. આ વાતથી નારાજ થઇને તેઓ બેઠકમાંથી બહાર નીકળી ગયા હતા.
આ મુદ્દે જયલલિતાએ જણાવ્યું કે "આ અગાઉ પણ હું એનડીસીની બેઠકોમાં ભાગ લેતી આવી છું. પાંચ વર્ષના આયોજન અંગે મુદ્દા રજૂ કરવાના હોય ત્યારે મુખ્યમંત્રીઓને પોતાની વાત રજૂ કરવા 25થી 30 મીનિટનો સમય આપવામાં આવતો હોય છે. આજે અમને માત્ર 10 મીનિટનો સમય આપવામાં આવ્યો. આટલા ઓછા સમયમાં અમે કેવી રીતે રજૂઆત કરી શકીએ. આટલો ઓછો સમય આપવો હોય તો મુખ્યમંત્રીઓને બોલાવ્યા શા માટે?"
ઉલ્લેખનીય છે કે આ બેઠકમાંથી જયલલિતાના બહાર નીકળી જવાથી તેમના યુપીએ સરકાર સાથેના સંબંધોની સ્થિતિ અને નારાજગી વધારે સ્પષ્ટ બની છે.