મુરલી મનોહર જોશીએ મુલાયમને પૂછ્યું : ત્રીજા મોરચામાં કોણ હશે?
ભાજપના સાંસદ અને લોક લેખા સમિતી (પીએસી)ના અધ્યક્ષ મુરલી મનોહર જોશીએ મુલાયમ સિંહને પ્રશ્ન પૂછી લીધો છે કે ત્રીજા મોરચાની વાત કરનારા મુલાયમ એ જણાવે કે તેમાં કયા કાય ઘટક પક્ષો સામેલ થવાના છે. તેમનો કાર્યક્રમ શું હશે.
વારાણસીમાં મીડિયા સાથેની વાતચીત દરમિયાન તેમણે જણાવ્યું કે વર્તમાન સમયમાં કેન્દ્રીય તપાસ બ્યુરોને સરકારી નિયંત્રણમાંથી મુક્ત કરવાની જરૂર છે. અમે માંગણી કરીએ છીએ કે તપાસ બ્યુરો પરથી સરકારી નિયંત્રણ દૂર કરવામાં આવે. આ સાથે તેમણે ત્રીજા મોરચાની વાત પણ ખોલી હતી. તેમણે જણાવ્યું કે "મુલાયમસિંહ વારંવાર ત્રીજા મોરચાની વાત કહી રહ્યા છે. પણ સાથે તેઓ એમ પણ જણાવે કે તેમના ત્રીજા મોરચાના ઘટક પક્ષો કયા હશે? ત્રીજા મોરચાનો કારભાર કોણ સંભાળશે તે અંગે તેઓ મૌન કેમ છે. આમ તો ત્રીજા મોરચાની અવધારણા અવસરવાદી રાજકારણ છે. આવા ગઠબંધનથી દેશની સમસ્યાઓને ઉકેલ આવવાનો નથી."
તેમણે આગળ જણાવ્યું કે કેન્દ્ર સરકાર પાછલા 9 વર્ષમાં દેશની સ્થિતિ વધારે ખરાબ કરી છે. કારણ કે યુપીએ પાસે કોઇ સર્વસંમત કાર્યક્રમ નથી. આ કારણે જ કેન્દ્ર સરકાર અનેક પ્રકારના દબાણમાં છે તેના કારણે તે તણાવ અનુભવી રહી છે.
જોશીએ એમ પણ કહ્યું કે તકવાદી યુતિઓ દ્વારા ચલાવવામાં આવતા સત્તા પ્રાપ્તિના તિકડમથી દેશની વર્તમાન સમસ્યાઓનો કોઇ ઉકેલ આવશે નહીં. આ કારણે દેશમાં ત્રીજો મોરચો બનવાની સંભાવના નહીંવત છે.