મમતા બેનર્જીએ જાહેરમાં માફી માગવી જોઇએ: જસ્ટીસ કાત્જુ
જસ્ટીસ કાત્જુએ મમતા બેનર્જીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે 'તમારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચૌહાણ પાસેથી શીખ લેવી જોઇએ જેમણે બાળા સાહેબના નિધન બાદ મુંબઇ બંધના મુદ્દે બે યુવતીઓએ ફેસબુક પર કરેલી કોમેન્ટના આધારે પોલીસ દ્વારા કરાયેલી તેમની ધરપકડને ખોટી ગણાવી તેમજ આ બે પોલીસ અધિકારીઓને તેમના હોદ્દા પરથી હટાવવામાં પણ આવ્યા.'
જસ્ટીસ કાત્જુએ તેમના પત્રમાં મહારાષ્ટ્રના સરકારનું ઉદાહરણ ટાંકીને જણાવ્યું છે કે 'મારી વિનંતી છે મહારાષ્ટ્ર સરકારની જેમ તમે પણ જાવેદપુર યુનિવર્સિટીના પ્રો. મહાપત્રા અને સીલાદિત્યા ચૌધરીની ખોટી રીતે ધરપકડ કરનાર પોલીસ અધિકારી સામે પગલાં ભરો, અને તાત્કાલિક ધોરણે તેમની સામે દાખલ થયેલી તમામ ચાર્જશીટ પાછી ખેંચી તેમની માફી માંગો.'
તેમણે પત્રમાં જણાવ્યું છે કે 'તેમજ દમયંતી સેનને પુર્નસ્થાપિક કરવી જોઇએ અને તેને ખોટી રીતે ધરપકડ કરનાર પોલીસ અધિકારી સામે સીધા કાનૂની પગલા ભરવા જોઇએ.'
કાત્જુએ આ ઘટનાઓ માટે મમતા બેનર્જીને માફી માગવા આગ્રહ કરતા લખ્યું છે કે ' આ ઘટના માટે તમારે જાહેરમાં માફી માગવી જોઇએ. આપણે બધા માણસ છીએ અને માણસસહજ પ્રક્રિયાથી ભૂલ થાય, પરંતુ સાચો માણસ એ છે જે પોતાની ભૂલને સ્વીકારી તેને સુધારી લે.'
જસ્ટીસ કાત્જુએ છેલ્લે એવું પણ લખ્યું છે કે 'મમતાએ સીએનએન આઇબીએનના એક શોમાં તાન્યા ભારદ્વાજનું અપમાન કર્યું હતું તેની પણ જાહેરમાં માફી માગી લેવી જોઇએ.'