15 દિવસમાં પડી ભાંગશે કર્ણાટકની સરકારઃ સદાનંદ ગૌડા
કોંગ્રેસ ફરી એક રાજ્ય પોતાના હાથમાંથી ગુમાવી શકે છે. કેન્દ્રીય મંત્રી સદાનંદ ગૌડાએ આ અંગે દાવો કર્યો છે.
હાલ મિઝોરમ, પોંડિચેરી અને પંજાબમાં કોંગ્રેસની સરકાર છે જ્યારે કર્ણાટકમાં જેડીએ સાથે મળીને કોંગ્રેસે સરકાર બનાવી હતી. ત્યારે કોંગ્રેસ ફરી એક રાજ્ય પોતાના હાથમાંથી ગુમાવી શકે છે. કેન્દ્રીય મંત્રી સદાનંદ ગૌડાએ આ અંગે દાવો કર્યો છે. જણાવી દઈએ કે જેડીએસને ઓછી સીટ મળી હોવા છતાં કોંગ્રેસે કુમારાસ્વામીને કર્ણાટકના સીએમ બનવવા પડ્યા હતા, જેથી કોંગ્રેસના અસલી ઉમેદવાર સિદ્ધરમૈયા સીએમ ન બની શક્યા.
સદાનંદ ગૌડાનો દાવો
કેન્દ્રીય મંત્રી સદાનંદ ગૌડાએ કર્ણાટકની કોંગ્રેસ-જેડીએસ સરકારને લઈને મોટું નિવેદન આપ્યું છે. ગૌડાએ કહ્યું કે કર્ણાટકમાં ગઠબંધનની સરકાર આગામી 15 દિવસમાં પડી ભાંગશે. પત્રકારો સાથેની વાતચીત દરમિયાન સદાનંદ ગૌડાએ આ અંગે નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે પૂર્વ સીએમ સિદ્ધારમૈયાએ નિર્ણય કરી લીધો છે કે તેઓ સરકારમાંથી પોતાનો ટેકો પરત ખેંચી લેશે, એવામાં હવે માત્ર ઔપચારિકતા બચી છે કે સરકાર ક્યારે ધ્વસ્ત થાય.
સિદ્ધરમૈયાને બનવું છે સીએમ
જો કે સદાનંદ ગૌડાએ એમપણ કહ્યું કે જો સિદ્ધરમૈયા ટેકો પરત ખેંચી લે તો તેઓ ફરી ક્યારેય મુખ્યમંત્રી નહીં બની શકે કેમ કે ભાજપ તેમને ક્યારેય સમર્થન નહીં આપે. ઉલ્લેખનીય છે કે સિદ્ધરમૈયાએ તાજેતરમાં જ કહ્યું હતું કે તેઓ ફરી વાર કર્ણાટકના મુખ્યમંત્રી બનવા માંગે છે, જેના પર પલટવાર કરતાં કર્ણાટકના સીએમ કુમારસ્વામીએ કહ્યું હતું કે લોકતંત્રમાં કોઈપણ મુખ્યમંત્રી બની શકે છે.
ગઠબંધનથી બની હતી સરકાર
ઉલ્લેખનીય છે કે કર્ણાટકની વિધાનસભા ચૂંટણીમાં કેટલાંય નાટકિય સ્વરૂપો સામે આવ્યાં હતાં. 2018ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 104 સીટ મળી હતી જ્યારે કોંગ્રેસને 80 અને જેડીએસને 37 તથા બીએસપીને 1 સીટ મળી હતી. કોંગ્રેસે જેડીએસ+બીએસપી સાથે ગઠબંધન કરીને સરકાર તો રચી દીધી પણ કોંગ્રેસના અસલી ઉમેદવાર સિદ્ધારમૈયાનું સીએમ બનવાનું સપનું ચકનાચૂર થઈ ગયું હતું. જેડીએસને 37 સીટ આવી હોવા છતાં દેવગૌડાના દીકરા કુમારસ્વામીને સીએમ બનાવવાની ફરજ પડી હતી. આ પણ વાંચો-ગઠબંધન સરકારનું દર્દ વ્યક્ત કરતા રડવા લાગ્યા સીએમ કુમારસ્વામી