મુંગેર, બિહાર, 10 એપ્રિલ : આજે વહેલી સવારે બિહારની જુમાઇ સંસદીય બેઠક પર વોટિંગ કરવા જઇ રહેલા સીઆરપીએફના જવાનો પર માઓવાદીઓએ વિસ્ફોટકો દ્વારા કરેલા હુમલામાં બે જવાનોના મોત થયા છે. આ હુમલામાં અન્ય 7 જવાનો ઘાયલ થયા છે.
પોલીસના જણાવ્યા અનુસાર સીઆરપીએફના જવાનો સવારે જમુઇ લોકસભા મતવિસ્તારમાં મતદાન કરાવવા માટે જઇ રહ્યા હતા. તેમનું વાહન ભીમબાંધ જંગલમાં પહોંચ્યું કે તરત જ માઓવાદીઓએ વિસ્ફોટક સુરંગમાં વિસ્ફોટ કર્યો. જેમાં બે જવાનો ઘટનાસ્થળે જ માર્યા ગયા અને 7 જવાનો ઘાયલ થયા છે.
મુંગેરના પોલીસ અધિક્ષકનું કહેવું છે કે માર્યા ગયેલા જવાનોમાં રવિન્દ્ર કુમાર બિહારથી અને સોને ગૌરેય કર્ણાટકથી આવ્યા હતા. તમામ ઘાયલોને ઇલાજ માટે ભાગલપુર મોકલવામાં આવ્યા છે. હવે તેમની સ્થિતિ ખતરાથી બહાર છે.
બીજી તરફ નક્સલવાદીઓએ લખીસરાય જિલ્લાના કજરા પોલીસ મથક વિસ્તારમાં પોલીસની પૂર્વ શિબિર પર હુમલો કર્યો છે. જેમાં કોઇને નુકસાન પહોંચ્યું નથી. જો કે આ સ્થળેથી પોલીસે ત્રણ બોમ્બ જપ્ત કર્યા છે. જેને નિષ્ક્રિય કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.