Bridge Collapse Accidents: ભારતમાં બ્રિજ તુટવાથી થયા મોટા અકસ્માત
થોડા દિવસ પહેલા એટલે કે 30 ઓક્ટોબર 2022ની સાંજે ગુજરાતના મોરબીમાં કેબલ સસ્પેન્શન બ્રિજ તૂટી પડતાં અનેક લોકોના જીવ ગયા હતા. આ બ્રિજ પર ઉભેલા 400 જેટલા લોકો મચ્છુ નદીમાં પડ્યા હતા. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 141 લોકોના મ
થોડા દિવસ પહેલા એટલે કે 30 ઓક્ટોબર 2022ની સાંજે ગુજરાતના મોરબીમાં કેબલ સસ્પેન્શન બ્રિજ તૂટી પડતાં અનેક લોકોના જીવ ગયા હતા. આ બ્રિજ પર ઉભેલા 400 જેટલા લોકો મચ્છુ નદીમાં પડ્યા હતા. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 141 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. જ્યારે 150થી વધુ લોકો ઘાયલ હોવાનું જાણવા મળ્યુ છે. અહીં ગુજરાતના મુખ્યમંત્રી ઉપરાંત પીએમ મોદી પણ મુલાકાત લઇ મૃતકોના પરીવાર અને ઘાયલો સાથે વાતચિત કરી હતી.
મળતી માહિતી મુજબ મચ્છુ નદી પરનો મોરબીનો કેબલ બ્રિજ રિપેરિંગ કામ અને જાળવણીના અભાવે, ગેરવહીવટ કે અન્ય ટેકનિકલ કારણોસર તૂટી પડ્યો છે. અંગ્રેજોના સમયમાં બનેલો આ પુલ ઘણો જૂનો હતો. 6 મહિના સુધી ચાલેલા સમારકામ બાદ 26 ઓક્ટોબર 2022ના રોજ બ્રિજને લોકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. પરંતુ, આ અકસ્માત પહેલા પણ ભારતમાં છેલ્લા બે દાયકામાં પુલ તૂટવાની ઘણી ઘટનાઓ બની છે.
- 22 જૂન, 2001: કેરળના કોઝિકોડ જિલ્લામાં કાદલુન્ડી રેલ્વે સ્ટેશન નજીક મેંગલોર-ચેન્નઈ મેલ ટ્રેન નદી પરના પુલ પરનો થાંભલો તૂટી પડતાં પાટા પરથી ઉતરી ગઈ હતી. ટ્રેનના ચાર ડબ્બા નદીમાં ખાબક્યા હતા. આ અકસ્માતમાં 59 લોકોના મોત થયા હતા અને 300થી વધુ લોકો ઘાયલ થયા હતા.
- 10 સપ્ટેમ્બર, 2002: કોલકાતા-નવી દિલ્હી રાજધાની એક્સપ્રેસ બિહારના રફીગંજ રેલ બ્રિજ પર દુર્ઘટનાગ્રસ્ત થઈ, જેમાં 130 લોકોના મોત થયા હતા.
- 28 ઓગસ્ટ, 2003: દમણના પશ્ચિમ દરિયાકાંઠાના વિસ્તારમાં એક પુલ નદીમાં તૂટી પડ્યો, જેના કારણે એક સ્કૂલ બસ અને અન્ય ઘણા વાહનો પાણીમાં વહી ગયા. આ અકસ્માતમાં 25 લોકોના મોત થયા હતા.
- ઓક્ટોબર 29, 2005: તેલંગાણામાં વેલિગોંડા રેલવે બ્રિજ તૂટી પડતાં આખી ટ્રેન પાણીમાં ડૂબી ગઈ હતી, જેમાં 114 લોકોનાં મોત થયાં હતાં. પુલનો એક ભાગ ધોવાઈ જતાં આ અકસ્માત થયો હતો. આ દુર્ઘટના હૈદરાબાદ નજીક અચાનક પૂરના કારણે બની હતી.
- 2 ડિસેમ્બર 2006: બિહારના ભાગલપુર રેલ્વે સ્ટેશન પર 150 વર્ષ જૂનો પુલ તૂટી પડ્યો, જેમાં 33 લોકોના મોત થયા. કહેવાય છે કે હાવડા-જમાલપુર સુપરફાસ્ટ ટ્રેન પુલ પરથી પસાર થઈ રહી હતી ત્યારે આ અકસ્માત થયો હતો.
- 9 સપ્ટેમ્બર 2007: હૈદરાબાદમાં પંજાગુટ્ટા ખાતેનો ફ્લાયઓવર પુલના નિર્માણ દરમિયાન તૂટી પડ્યો, જેમાં 20 લોકોના મોત થયા હતા.
- 24 ડિસેમ્બર, 2009: રાજસ્થાનના કોટા જિલ્લામાં એક નિર્માણાધીન પુલ તૂટી પડતાં કાટમાળ નીચે ફસાયેલા 37 મજૂરોનાં મોત થયાં હતાં.
- 22 ઓક્ટોબર 2011: ભારતના ચા ઉત્પાદક પ્રદેશ દાર્જિલિંગમાં એક રાજકીય કાર્યક્રમ દરમિયાન એક પુલ તૂટી પડ્યો, જેમાં 32 લોકોના મોત થયા હતા.
- 10 જૂન, 2014: ગુજરાતના સુરતમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાય કેબલ બ્રિજનો 35-મીટર લાંબો અને 650-ટનનો સ્લેબ 40 ફૂટની ઊંચાઈએથી તૂટી પડ્યો, જેમાં 10 લોકોના મોત થયા અને છ ઘાયલ થયા હતા.
- 31 માર્ચ, 2016: કોલકાતામાં નિર્માણાધીન વિવેકાનંદ ફ્લાયઓવરનો લગભગ 100 મીટરનો ભાગ તૂટી પડ્યો, જેમાં 27 લોકોના મોત થયા હતા.
- 2 ઓગસ્ટ, 2016: મહારાષ્ટ્રમાં સાવિત્રી નદી પુલ દુર્ઘટનામાં 28 લોકોના મોત થયા હતા. મહાડ નજીક સાવિત્રી નદી પરનો 106 વર્ષ જૂનો પુલ ધરાશાયી થયો હતો.
- 18 મે 2017: ગોવાના કુર્ચોરમમાં સનવોર્ડેમ નદી પરનો જર્જરિત પોર્ટુગીઝ યુગનો પુલ તૂટી પડતાં બે લોકોનાં મોત થયાં અને કેટલાય લોકો ગુમ થયાં હતા.
- 29 સપ્ટેમ્બર 2017: મુંબઈના એલ્ફિન્સ્ટન રોડ રેલ્વે સ્ટેશન બ્રિજ પર નાસભાગ મચી જવાથી 23 લોકોના મોત થયા હતા અને 39 લોકો ઘાયલ થયા હતા.
- 15 મે 2018: વારાણસી કેન્ટ રેલ્વે સ્ટેશન નજીક એક નિર્માણાધીન પુલનો એક ભાગ તૂટી પડ્યો હતો. આ અકસ્માતમાં 19 લોકોના મોત થયા હતા. જ્યારે 20થી વધુ લોકો ઘાયલ થયા હતા.
- 4 સપ્ટેમ્બર 2018: કોલકાતામાં માજેરહાટ પુલ તૂટી પડ્યો. આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા હતા અને ઓછામાં ઓછા 25 લોકો ઘાયલ થયા હતા.
- 14 માર્ચ, 2019: મુંબઈમાં છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ રેલ્વે સ્ટેશનના ઉત્તરીય છેડાને બદરુદ્દીન તૈયબજી લેનથી જોડતા ફૂટઓવર બ્રિજનો એક ભાગ તૂટી પડ્યો અને રસ્તા પર પડ્યો. આ અકસ્માતમાં છ લોકોના મોત થયા હતા અને ઓછામાં ઓછા 30 લોકો ઘાયલ થયા હતા.