રાજ ઠાકરેએ અયોધ્યા પ્રવાસ ટાળ્યો, ભાજપ સાંસદે કહ્યુ હતુ શહેરમાં ઘૂસવા નહિ દઈએ
મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના અધ્યક્ષ રાજ ઠાકરેએ પોતાનો અયોધ્યા પ્રવાસ સ્થગિત કરી દીધો છે.
મુંબઈઃ મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના અધ્યક્ષ રાજ ઠાકરેએ પોતાનો અયોધ્યા પ્રવાસ સ્થગિત કરી દીધો છે. તેમણે ટ્વિટ કરીને આ અંગેની માહિતી આપી છે. રાજ ઠાકરેએ ટ્વિટ કરીને લખ્યુ કે હાલમાં અયોધ્યાનો પ્રવાસ સ્થગિત છે. જો કે, રાજ ઠાકરેએ અયોધ્યાનો પ્રવાસ સ્થગિત કરવાનુ કારણ જણાવ્યુ નથી. નોંધનીય વાત છે કે ભારતીય જનતા પાર્ટીના સાંસદ બૃજભૂષણ સિંહે રાજ ઠાકરેના અયોધ્યા પ્રવાસનો વિરોધ કરીને કહ્યુ હતુ કે તે રાજ ઠાકરેનો અયોધ્યાની જમીન પર પગ નહિ મૂકવા દે.
બૃજભૂષણ સિંહે મુંબઈમાં ઉત્તર ભારતીયોના અપમાનનો મુદ્દો ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે રાજ ઠાકરેની પાર્ટીના કાર્યકર્તાઓએ ઉત્તર ભારતીયો સાથે જે વર્તન કર્યું છે તેને ભૂલી શકાય તેમ નથી. હું તેમને પડકાર આપું છું કે તેઓ અયોધ્યાની ધરતી પર પગ મૂકી બતાવે. તેમણે કહ્યું કે જો રાજ ઠાકરે અયોધ્યાની ધરતી પર પહોંચશે તો હું મારી જાતને માફ કરી શકીશ નહિ. હું રાજ ઠાકરેને અયોધ્યામાં પ્રવેશવા નહિ દઉ. એટલું જ નહિ તેમણે સ્પષ્ટ કહ્યુ હતુ કે આ મારો અંગત નિર્ણય છે. પાર્ટીની પોતાની જગ્યા છે અને અમારા લોકોનું સન્માન એની જગ્યાએ છે.
બૃજભૂષણ સિંહે 2008ની એક ઘટનાનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે હું કેવી રીતે કહી શકુ કે કેવી રીતે રાજ ઠાકરેના ગુંડાઓએ અમારા લોકોને મુંબઈ છોડવા મજબૂર કર્યા અને માર માર્યો. જો રાજ ઠાકરેને અયોધ્યા આવવુ હોય તો તેમણે પોતાના કૃત્ય બદલ માફી માંગવી પડશે. જો તે પીડિતોની માફી માંગવા માંગતા ન હોય તો સંતોની માફી માંગે. એટલુ જ નહિ જો તે ઈચ્છે તો તે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની માફી માંગી લે. જો કે, રાજ ઠાકરેએ તેમની અયોધ્યા મુલાકાત સ્થગિત કરી દીધી છે ત્યારબાદ આ વિવાદનો હાલ પૂરતો અંત આવ્યો છે.