મધ્યપ્રદેશ બની ગયું છે વિકલાંગ પ્રદેશ : કમલનાથ
કમલનાથે કહ્યું કે આ સરકારની નજરમાં યુવાનો, ખેડૂતો અને મહિલાઓનું કોઇ મહત્વ નથી. સામાન્ય મતદાતા શિવરાજસિંહ ચૌહાણની કલાકારીને જાણી ગયા છે અને હવે તે પરિવર્તન ઇચ્છે છે. કમલનાથે વધુમાં જણાવ્યું કે બીજેપી સરકાર લોકોને ગેરમાર્ગે દોરવા માટે જે કલાકારી કરી રહી છે, જેને લોકો ઓળખી ગયા છે. તેઓ કેન્દ્ર સરકારની યોજનાઓને પોતાની ગણાવીને મોટી મોટી જાહેરાતો છપાવી દે છે, દરેક વ્યક્તિ જાણે છે કે તેઓ નારિયેલ ખીસ્સામાં નાખીને ચાલે છે.
એક સવાલના જવાબમાં કમલનાથે કહ્યું કે ત્રણ રાજ્યો ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને કર્ણાટકમાં બીજેપીને હારનો સામનો કરવો પડ્યો છે અને હવે મધ્યપ્રદેશમાં પણ એ જ થવાનું છે. છેલ્લા વર્ષોમાં આ પાર્ટીની પકડ નબળી થઇ છે. મધ્ય પ્રદેશની જનતા પણ આ દળની સત્તાથી છૂટકારો ઇચ્છે છે. કોંગ્રેસમાં જૂથબાજીની ચર્ચાઓના સવાલ પર કમલનાથે કહ્યું કે પાર્ટીમાં જૂથવાદ નથી, બધા જ નેતા દિલ્હીમાં મળતા રહે છે.
તેમણે એ પણ વાતનો સ્વીકાર કર્યો કે તેઓ ભોપાલ ખૂબ જ લાંબા સમય બાદ આવ્યા છે. કેન્દ્રીયમંત્રીએ કહ્યું કે તેઓ અન્ય ક્ષેત્રોમાં હંમેશા જતા રહે છે. વિધાનસભા ચૂંટણી નજીક છે, જેના માટે રણનીતિ બનાવવાની જરૂરીયાત પડી એટલે તેઓ ભોપાલ આવ્યા છે.