એક ઇ-મેઇલે ખોલી દિધી શ્રીનિવાસનની પોલ, પકડાઇ ગયું જુઠ્ઠાણુ !
નવી દિલ્હી, 28 મે: શું બીસીસીઆઇ અધ્યક્ષ એન શ્રીનિવાસન ખુલ્લેઆમ જુઠ્ઠુ બોલી રહ્યાં છે? શું તે પોતાના જમાઇ ગુરૂનાથ મયપ્પનને બચાવવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. એક અંગ્રેજી સમાચાર પત્રમાં છપાયેલા સમાચાર મુજબ એન શ્રીનિવાસન હળાહળ જુઠ્ઠુ બોલી રહ્યાં છે કે મયપ્પન ના તો ક્યારેય ચેન્નઇ સુપરકિંગ્સના માલિક હતા ના તો સીઇઓ.
સમાચારપત્રના જણાવ્યા અનુસાર 24 ડિસેમ્બર 2011ના રોજ આઇપીએલ કમિશ્નર રાજીવ શુક્લા દ્વારા કરવામાં આવેલા એક ઇમેલની કોપી છપાયેલી છે, જે દરેક આઇપીએલ ફ્રેંચાઇઝીના માલિકોને મોકલવામાં આવી હતી. માલિકોની આ યાદીમાં ગુરૂનાથ મયપ્પનનું નામ પણ સામેલ છે. મેલમાં સ્પષ્ટપણે લખ્યું છે કે બીસીસીઆઇની સહમતિ પર હું દરેક આઇપીએલ ફ્રેંચાઇઝીના માલિકોને 9 જાન્યુઆરીના રોજ બપોરે 3 થી 5 વાગ્યા સુધી યોજાનારી બેઠક માટે આમંત્રિત કરું છું. જો કે તે મેઇલ આડી બ્લોક છે.
જો ઇન્ડિયા સિમેન્ટ અને એન શ્રીનિવાસનની વાત સાચી છે તો રાજીવ શુક્લાએ મયપ્પનને માલિક તરીકે ઇમેલ કેમ કર્યો? અત્રે ઉલ્લેખનીય છે કે સટ્ટેબાજીના આરોપમાં મયપ્પન ફસાતાં જ ઇન્ડિયા સિમેન્ટે આ નિવેદન જાહેર કર્યું હતું કે મયપ્પન ના તો સીએસકેના માલિક છે ના તો સીઇઓ. તે ફક્ત એક માનદ સભ્ય છે.
આ ઉપરાંત શ્રીનિવાસને રવિવારે એક પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે તે મયપ્પનની તપાસથી દૂર રહેશે. તેમને પોતાનું કામ ઇમાનદારીથી કર્યું છે અને આગળ પણ કરતાં રહેશે, પરંતુ હવે એ પ્રશ્ન ઉભો થઇ રહ્યો છે કે જે પહેલાં જ પોતાની વાત મનાઇ કરી રહ્યાં છે કે મયપ્પન ક્યારેય સીઇઓ ન હતા, શું તે તપાસમાં નિષ્પક્ષતા રાખી શકશે?
તો બીજી તરફ રાજીનામાના મુદ્દે શ્રીનિવાસન મીડિયા પર ઉશ્કેરાઇ ગયા હતા. તેમને કહ્યું હતું કે તે 'મીડિયા' મારી પાછળ પડી ગયું છે. મારે જે કહેવું હતું તે પ્રેસ કોંફરન્સમાં કહી દિધું છે. હવે મારે કશું કહેવું નથી. હું રાજીનામું નહી આપું.