ગરીબોની થાળીમાંથી ભોજન છીનવી લેનાર છે ફૂડ સિક્યોરિટી બિલ: મોદી
નવી દિલ્હી, 13 ઓગષ્ટ: ખાદ્ય સુરક્ષા બિલને લઇને હવે નરેન્દ્ર મોદીએ યૂપીએ સરકાર પર પ્રહાર કર્યા હતા. અમદાવાદમાં પત્રકારો સાથેની વાતચીત દરમિયાન નરેન્દ્ર મોદીએ ખાદ્ય સુરક્ષા બિલને ગરીબ વિરોધી ગણાવતાં કહ્યું હતું કે યૂપીએ સરકાર દ્વારા લાવવામાં આવી રહેલા ફૂડ સિક્યોરિટી બિલને ગરીબો માટે નુકસાનકારક છે. આ યોજના ગરીબો સુધી અનાજ પહોંચાડનારી નથી પરંતુ તેમની થાળીમાંથી અન્ન છીનવી લેનાર છે.
તેમને કહ્યું હતું કે અત્યારે અંત્યોદય યોજના હેઠળ પાંચ સભ્યોવાળા દરેક ગરીબ પરિવારને મહિને 35 કિલો અનાજ મળે છે. ફૂડ સિક્યોરિટી બિલ હેઠળ તે પરિવારને દર મહિને માત્ર 25 કિલો અનાજ મળશે. એટલે દરેક ગરીબ પરિવારને દર મહિને મળનાર અનાજમાં 10 કિલોનો કાપ થવાનો છે.
તેમને સમાચાર ચેનલ પર પ્રસારિત પોતાના વક્તવ્યમાં કહ્યું હતું કે ફૂડ સિક્યોરિટી બિલથી સામાન્ય લોકો પર નાણાંકીય બોજો વધવાનો છે. આ ઉપરાંત નરેન્દ્ર મોદીએ એમપણ કહ્યું હતું કે ફૂડ સિક્યોરિટી બિલ પોષ્ટિકતાની દ્રષ્ટિએ યોગ્ય નથી. નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે જો સરકાર ખરેખર ગરીબોનું ભલું કરવા માંગતી હોય તો આ બિલ પર સંસદમાં ચર્ચા થવી જોઇએ અને સર્વસંમતિ બાદ આ કાયદો લાગૂ કરવો જોઇએ.
ભાજપા તરફથી પાર્ટી પ્રવક્તા શાહનવાજ હુસૈને પણ આ કાયદા પર ચર્ચા કરવાની માંગણી કરી હતી. કોંગ્રેસનો દાવો છે કે ખાદ્ય સુરક્ષા બિલ લાગૂ થયા બાદ દેશના 81 કરોડ લોકોને ફાયદો પહોંચશે અને ગરીબ લોકોને 1 રૂપિયામાં કિલો અનાજ, 2 રૂપિયામાં કિલો ઘઉં અને 3 રૂપિયામાં કિલો ચોખા મળશે પરંતુ આ કાયદાની કેટલીક વસ્તુઓ સાથે વિરોધી પક્ષ સહમત નથી. જો કે આ મુદ્દે ઝઘડો ચાલી રહ્યો છે.