મુંબઇના નેવલ ડોકયાર્ડમાં નૌસેના સબમરિનમાં આગ; અનેક ગુમ
મુંબઇ, 14 ઓગસ્ટ : દક્ષિણ મુંબઈમાં નેવલ ડોકયાર્ડ ખાતે ગઈ મોડી રાત્રે આગ ફાટી નીકળી હતી. આ દુર્ઘટનામાં અનેક લોકો ગુમ થયા હોવાના અહેવાલ મળી રહ્યા છે. પ્રાથમિક અહેવાલો અનુસાર, જહાજમાં કોઈક સ્ફોટક પદાર્થને કારણે ધડાકો થયો હતો અને પછી આગ પણ લાગી હતી.
નેવલ ડોકયાર્ડના લાયન ગેટ અને સીતા ગેટ વચ્ચે સમુદ્રમાં લાંગરેલી નૌસેનાની સબમરિન ‘સિંધુ રક્ષક'માં ધડાકા બાદ આગ ફાટી નીકળી હતી. દુર્ઘટનાની જાણ થતા જ મુંબઈ ફાયર બ્રિગેડ અને મુંબઈ પોર્ટ ટ્રસ્ટના 12 ફાયર એન્જિન્સ સાથે ફાયરમેનો ત્યાં દોડી ગયા હતા. તેમણે વહેલી સવારે લગભગ 3 વાગ્યે આગને કાબૂમાં લાવી દીધી હતી.

ફાયર બ્રિગેડે આસપાસમાં બીજા જહાજો સુધી ફેલાતા રોકી હતી. તેમ છતાં સબમરિનના 18 અધિકારીઓ સહિત 18 જેટલા અન્ય જવાનો સપડાઈ ગયા હોવાનો ભય સેવાય છે. કેટલાક જવાનો બચવા માટે દરિયામાં કૂદી ગયા હતા. હજી સુધી કોઈ જાનહાનિનો અહેવાલ નથી. સબમરિન પર લાગેલી આગનો ધૂમાડો દક્ષિણ મુંબઈના અનેક ભાગોમાંથી પણ જોઈ શકાતો હતો.












Click it and Unblock the Notifications
