નહેરુએ પટેલને કોમવાદી ગણાવ્યા હતા : અડવાણી
નવી દિલ્હી, 6 નવેમ્બર : વર્તમાન સમયમાં ભારતીય જનતા પાર્ટી જેના નામથી ચૂંટણીનો સાગર તરી જવા માંગે ચછે તેવા સરદાર વલ્લભભાઇ પટેલના મુદ્દે ભાજપે જ એક વિવાદ ઉભો કર્યો છે. આ વિવાદ ઉભો કરવામાં ભાજપના વરિષ્ઠ નેતા એલ કે અડવાણીનો ફાળો છે.
સરદાર પટેલ વિશે ભારતીય જનતા પક્ષ (ભાજપ)એ ફરી વિવાદ ઊભો કર્યો છે. ભાજપના નેતા એલ કે અડવાણીએ એક પુસ્તકને ટાંકતાં આક્ષેપ કર્યો હતો કે ભૂતપૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ તેઓના ગૃહપ્રધાન વલ્લભભાઈ પટેલને સંપૂર્ણ કોમવાદી કહ્યા હતા. આઝાદી બાદ અવજ્ઞા કરનાર હૈદરાબાદને અકુંશમાં લેવા લશ્કર મોકલવાનું પટેલે કરેલા સૂચન અંગે નહેરુએ પટેલને સંપૂર્ણ કોમવાદી કહ્યા હતા.
તાજેતરના બ્લૉગમાં અડવાણીએ "ધ સ્ટોરી ઓફ એન ઇરા ટોલ્ડ વિધાઉટ ઇલવિલ પુસ્તકના કેટલાંક અવતરણ ટાંક્યાં હતાં. આ પુસ્તકમાં હૈદરાબાદ વિરુદ્ધ પોલીસ પગલાં પૂર્વે કેબિનેટ મીટિંગમાં નહેરુ અને પટેલ વચ્ચેના ઉગ્ર વિવાદ વિશેની વિગતોની નોંધ લેવામાં આવી છે.
નિઝામ પાકિસ્તાન સાથે જોડાવા ઇચ્છતા હતા અને તેઓએ પડોશી દેશ પાકિસ્તાનમાં એક ગુપ્ત નોંધ પાઠવી હતી તેમ જ પાક સરકારને મોટી રકમ ટ્રાન્સફર કરી હતી. નિઝામના અધિકારીઓ સ્થાનિક લોકોનું દમન કરતા હતા. કેબિનેટ ખાતે પટેલે આ સ્થિતિનું વર્ણન કરી હૈદરાબાદમાં ત્રાસવાદ શાસનના અંત માટે લશ્કર મોકલવાની માગણી કરી હતી.