નક્સલવાદ પ્રભાવિત રાજ્યોમાં આર્મીની નિયુક્તિ નહીં : એન્ટોની
નવી દિલ્હી, 27 મે : શનિવારે 25 મેના રોજ છત્તીસગઢમાં થયેલા નક્સલવાદી હુમલા બાદ કેન્દ્ર સરકારે અર્ધસૈનિક દળોના 2000થી પણ જવાનો રાજ્યમાં મોકલ્યા છે. રક્ષામંત્રી એ કે એન્ટનીએ જણાવ્યું છે કે નક્સલ પ્રભાવિત રાજ્યોમાં સેનાને નિયુક્ત કરવાની કોઇ દરખાસ્ત નથી. આ ઘાતક હુમલા બાદ સરકારે સોમવારે નક્સલ હિંસા પ્રભાવિત તમામ રાજ્યોને કહ્યું છે કે તેઓ રાજકીય કાર્યકર્તાઓની સુરક્ષાની વધારે ચુસ્ત કરે.
એન્ટનીએ જણાવ્યું કે છત્તીસગઢમાં નક્સલ વિરોધી અભિયાનમાં સેનાને સામેલ કરવા માટેની કોઇ દરખાસ્ત નથી. જો કે અમે રાજ્યો અને પેરા મિલિટરી ફોર્સિસને સંપૂર્ણ સહયોગ આપીશું. રક્ષા મંત્રીએ તમિલનાડુના તંજાવુરમાં આ વાત કહી હતી. નોંધનીય છે કે છત્તીસગઢમાં નક્સલવાદ વિરુદ્ધના અભિયાનમાં 30,000 પેરા મિલિટરી જવાનો તૈનાત છે.
આ સાથે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે માઓવાદી હિંસાથી અસરગ્રસ્ત તમામ રાજ્યોને ચેતવણી આપી છે કે તેઓ રાજકીય કાર્યકર્તાઓની સલામતીને નવો ઓપ આપે અને કોઈ પણ પ્રકારની હિંસાને લીધે રાજકીય પ્રવૃત્તિઓ પર માઠી અસર ન પડે એની તકેદારી લેવી. નક્સલવાદગ્રસ્ત રાજ્યોને આપેલી ચેતવણીમાં, ગૃહ મંત્રાલયે કહ્યું છે કે રાષ્ટ્રીય તેમજ પ્રાદેશિક, બંને સ્તરના પક્ષોના નેતાઓની સલામતીની વ્યવસ્થાની સંપૂર્ણપણે સમીક્ષા થવી જોઈએ અને જરૂર પડે તો એમના રક્ષણમાં સુધારા કરવા જોઈએ.
કેન્દ્રે કહ્યું છે કે રાજકીય નેતાઓના સુરક્ષા બંદોબસ્તમાં જરાય કચાશ રહેવી ન જોઈએ અને તેઓ જ્યારે પ્રવાસે જાય કે કોઈ સમારંભમાં હાજરી આપે ત્યારે એમને પર્યાપ્ત સુરક્ષા બંદોબસ્ત પૂરો પાડવો જોઈએ. ગૃહ મંત્રાલયે રાજ્યોને એમ પણ કહ્યું છે કે માઓવાદીઓની ધાકધમકીથી કે હિંસાથી રાજકીય પક્ષોની પ્રવૃત્તિઓ જરાય અટકવી ન જોઈએ તેની તકેદારી રાખવી.