હવે મોદીની સુરક્ષા માટે 108 NSG કમાન્ડો ખડે પગે રહેશે
નવી દિલ્હી, 17 સપ્ટેમ્બર : ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને વડા પ્રધાનપદના ઉમેદવાર જાહેર કરાયા બાદ તેમની સામે આતંકવાદીઓ હુમલાનો ભય હોવાને કારણે મોદીની સલામતીનો હવાલો સંભાળતા નેશનલ સિક્યોરિટી ગાર્ડ (એનએસજી) દ્વારા ગૃહ મંત્રાલયને પત્ર પાઠવીને મોદીની સલામતી માટે સુરક્ષા દળના વધુ જવાનોની માગણી કરવામાં આવી છે. સાથે બે વધુ વાહનોની માગણી કરવામાં આવી છે. જેના અંતર્ગત નરેન્દ્ર મોદીની સુરક્ષા માટે હવે 108 કમાન્ડો ખડે પગે રહેશે.
તાજેતરમાં રાષ્ટ્રીય સુરક્ષા એજન્સીઓએ આપેલી માહિતી અનુસાર આતંકવાદીઓના હિટલિસ્ટમાં નરેન્દ્ર મોદીનું નામ સૌથી ઉપર હોવાને પગલે એનએસજીએ આ માંગણી કરી હતી. આ પગેલા જૂનમાં મોદીને ભાજપની ચૂંટણી પ્રચાર સમિતિના અધ્યક્ષ બનાવ્યા હતા ત્યારે પણ તેમની સુરક્ષા વધારવામાં આવી હતી.
રાજ્યના ગોધરાકાંડની ઘટના બાદ ગુજરાતના મુખ્ય પ્રધાન મોદીની સલામતી માટે કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા ઝેડ પ્લસ સિક્યોરિટી આપવામાં આવી છે. જેનાં અંતર્ગત મુખ્ય પ્રધાન મોદીની સુરક્ષા અને સલામતી માટે નેશનલ સિક્યોરિટી ગ્રૂપ(એનએસજી)ના કમાન્ડોને તહેનાત કરવામાં આવ્યા છે.
તાજેતરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીને વડા પ્રધાનપદના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. આ સંજોગોમાં તેમને પક્ષના પ્રચાર માટે દેશમાં પરિભ્રમણ કરવાનું વધી જશે, જેથી તેમની સલામતી અને સુરક્ષા માટે વધુ સુરક્ષા કમાન્ડોની જરૂરિયાત પડશે.
નેંધનીય છે કે જૂન 2013માં મોદીના આંતરિક વર્તુળમાં સુરક્ષાકર્મીઓની સંખ્યા 18થી વધારીને 36 કરવામાં આવી હતી. હવે મોદીના નજીકના વર્તુળમાં 108 એનએસજી કમાન્ડો સલામતી માટે તહેનાત રહેશે. મોદી ભારતના સૌથી મોટા ઇસ્લામી આતંકવાદી સંગઠનોનાં હિટ લિસ્ટમાં છે અને તેમનો સતત વધતો જતો પ્રભાવ સુરક્ષા એજન્સીઓ માટે ચિંતાનો વિષય બની ગયો છે, કારણ કે હવે મોદીની ગુજરાતની બહારની અવરજવર વધી ગઇ છે.
દેશમાં જેમને એનએસજી દ્વારા સૌથી વધુ સુરક્ષા મળે છે તેવા નેતાઓમાં ભાજપના એલ કે અડવાણી, બસપા પ્રમુખ માયાવતી, તામિલનાડુના મુખ્યપ્રધાન જયલલિતા, છત્તીસગઢના મુખ્યપ્રધાન રમણસિંહ અને ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન અખિલેશ યાદવનો સમાવેશ થાય છે. જો કે હવે મોદીની પાસે આ બધાં કરતાં વધુ સુરક્ષા કર્મીઓ છે.