આનંદો, ડાયાબિટીઝના દર્દીઓ માટે હવે સુગર ફ્રી કેરી ઉપલબ્ધ
લખનૌ, 23 સપ્ટેમ્બર : તમને કેરી બહુ ભાવે છે પણ ડાયાબિટીઝ તમને કેરી ખાતા રોકે છે? તો હવે તમારા માટે આનંદના સમાચાર છે. હવે ભારતમાં જ ખાસ ડાયાબિટીઝના દર્દીઓ માટે સુગર ફ્રી કેરીની જાત વિકસાવવામાં આવી છે. જેને ડાયાબિટિઝના દર્દીઓ ટેન્શન વગર માણી શકશે.
લખનઉની નજીક આવેલા મલિહાબાદ નગરની નફીસ નર્સરીએ એવી કેરી ઉગાડવામાં સફળતા મેળવી છે જેમાં ગ્લુકોઝનું પ્રમાણ સાવ ઓછું છે તેથી તે ડાયાબિટીસના દર્દીઓ માટે આદર્શ બની રહેશે. આ કેરી સ્વાદમાં મીઠી છે, પણ એટલી બધી મીઠી નહીં જેટલી અન્ય કેરીઓ હોય છે.
નફીસ નર્સરીએ સુગર ફ્રી મેંગો ઉગાડવાની અનોખી ટેકનિક ડેવેલપ કરી છે. આ કેરી નોર્મલ ટાઈપની કેરીઓના જ પ્લાન્ટમાં ઉગાડી શકાય છે. તમે તમારી કેરી કઈ ડાળ પરથી તોડો છો એની પર કેરીની મીઠાશનો આધાર રહેશે. ભારતમાં કેરી મોસમી ફળ છે, પણ તેમાં રહેલી મીઠાશને કારણે તેને ડાયાબિટીસના દર્દીઓ ખાઈ શકતા નથી.
નફીસ નર્સરીના પ્રમોટર શબીઉલ હસનનું કહેવું છે કે આ ફળ એવું છે જેને ખાવા લોકો દર વર્ષે રાહ જોતા હોય છે, પણ ડાયાબિટીસના દર્દીઓ આનાથી દૂર રહેતા હોય છે. હવે અમારો પ્રોજેક્ટ તેમને વિકલ્પ પૂરો પાડશે. તેઓ પણ કેરીનો સ્વાદ માણી શકશે.
મલિહાબાદ કેરીના પાક માટે વિશ્વભરમાં જાણીતું છે. અહીંથી કેરીની મોટા પાયે નિકાસ કરાય છે. નફીસ નર્સરીની સ્થાપના 1932૨માં કરવામાં આવી હતી. શબીઉલ હસનનો આ પરંપરાગત ફેમિલી બિઝનેસ છે. 30 વર્ષના હસને નવી ટેકનિકોની અજમાયશ કરીને નવી ટાઈપની, સુગર ફ્રી કેરી વિક્સાવી છે.