પાકિસ્તાને 26/11 મુંબઇ હુમલાના માસ્ટર માઇન્ડને ક્લીનચીટ આપી
નવી દિલ્હી, 26 જુલાઇ : મુંબઇના 26/11 હુમલાના માસ્ટરમાઇન્ડને પાકિસ્તાને ક્લીનચીટ આપી દીધી છે. મુંબઇ હુમલા અંગે પાકિસ્તાને તૈયાર કરેલી ચાર્જશીટના લિસ્ટમાં ત્રાસવાદી હાફિજ સઇદનું નામ નથી. ભારતે આ સામે ભારે વિરોધ નોંધાવ્યો છે.
આ અંગે અંગ્રેજી અખબાર મેઇલ ટુડેનાં અહેવાલ અનુસાર પાકિસ્તાન તરફથી દાખલ કરવામાં આવેલ ચાર્જશીટમાં લશ્કર-એ-તોયબાના સ્થાપક અને જમાત-ઉદ-દાવાના વડા હાફિજ સઇદનું નામ નથી. જયારે ભારતની તપાસ એજન્સીઓએ હાફિજને મુંબઇ હુમલાનો માસ્ટર માઇન્ડ ગણાવ્યો છે.
પાકિસ્તાનની ચાર્જશીટમાં લશ્કરના કમાન્ડર જકીઉર રહેમાન લખવીને હુમલાના માસ્ટર માઇન્ડ ગણવામાં આવેલ છે. લખવીએ બીજા ત્રાસવાદીઓને સાથે મળીને કરાંચી અને થટ્ટામાં ટ્રેનીંગ કેમ્પ બનાવ્યા હતા, જયાં અજમલ કસાબને ટ્રેનીંગ આપવામાં આવી હતી.
પાકિસ્તાનની ચાર્જશીટમાં જમીન અહેમદ અને યુનુસ અંજુમે મુંબઇના હુમલાન ફંડીગ માટે 39 લાખ 40 હજાર રૂપિયા બેંકમાંથી કાઢયા હતા. મઝહર ઇકબાલ અને અબ્દુલ વાઝીદ વીઓઆઇપી કનેકશનથી મુંબઇ હુમલાખોરોને નિર્દેશો આપતા હતા.
જયારે ભારતીય ચાર્જશીટમાં જણાવાયુ છે કે સઇદ જબીઉદ્દીન અંસારી ઉર્ફે અબુ હમજા ઉર્ફે અબુ જુંદાલ કરાંચીથી મુંબઇના હુમલાખોરોને નિર્દોશો આપતો હતો. ભારતની ચાર્જશીટમાં હાફિજ સઇદની સાથે તોયબાના ત્રાસવાદી ડેવીડ હેડલી અને પાકિસ્તાનના લશ્કરના બે ઓફિસરો મેજર ઇકબાલ અને મેજર સમીરઅલીને હુમલાના માસ્ટર માઇન્ડ ગણાવ્યા હતા.