કુલભૂષણ જાધવ કેસમાં પ્રોપાગાંડા કરી રહ્યુ છે પાકિસ્તાન - ICJમાં ભારતનું નિવેદન
વરિષ્ઠ વકીલ સાલ્વેએ કોર્ટમાં કહ્યુ કે પાકિસ્તાન પાસે જાધવ સામે કોઈ ઠોસ પુરાવા નથી. તે માત્ર દૂર્ભાવના હેઠળ કાર્યવાહી કરી રહ્યુ છે.
પુલવામામાં સીઆરપીએફના કાફલા પર આતંકવાદી હુમલાના કારણે ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલ તણાવ વચ્ચે આંતરરાષ્ટ્રીય ન્યાયાલયમાં પૂર્વ નૌસૈનિક કુલભૂષણ જાધવના કેસમાં સુનાવણી શરૂ થઈ ગઈ છે. સોમવારથી શરૂ થયેલી આ સુનાવણીમાં કુલભૂષણ જાધવના બચાવ માટે ભારતીય વકીલોની ટીમની આગેવાની કરી રહેલા વરિષ્ઠ વકીલ સાલ્વેએ કોર્ટમાં કહ્યુ કે પાકિસ્તાન પાસે જાધવ સામે કોઈ ઠોસ પુરાવા નથી. તે માત્ર દૂર્ભાવના હેઠળ કાર્યવાહી કરી રહ્યુ છે. સાલ્વેએ કહ્યુ કે, 'પાકિસ્તાનમાં જાધવની ધરપકડે વિયના કન્વેન્શનનું ઉલ્લંઘન કર્યુ છે અને પાકિસ્તાનમાં જાધવની ધરપકડ ગેરકાયદેસર ઘોષિત કરવી જોઈએ.' ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનની મિલિટ્રી કોર્ટે જાધવને જાસૂસી અને આતંકવાદી ગતિવિધિમાં શામેલ થવા મામલે મોતની સજા સંભળાવી છે. પાકિસ્તાની મિલિટ્રી કોર્ટના એ ચુકાદા સામે હાલમાં આઈસીજેમાં આ મામલો ચાલી રહ્યો છે.
સાલ્વેએ અદાલતને કહ્યુ કે એક નિર્દોષ ભારતીયનો જીવ જોખમમાં છે અને તેને કાયદાકીય સહાયતા આપવાની ભારતની માંગને પણ પાકિસ્તાન 13 વાર નજરઅંદાજ કરી ચૂક્યુ છે. તેમણે કહ્યુ કે એમાં કોઈ શક નથી પાકિસ્તાન આના પર પ્રોપાગાંડા કરી રહ્યુ છે જ્યારે તે સ્હેજ પણ વિલંબ કર્યા વિના કાયદાકીય મદદ આપવા માટે બાધ્ય હતુ. સાલ્વેએ એ પણ સ્પષ્ટ કર્યુ કે જાધવને કાયદાકીય મદદ આપવાનો જ માત્ર ઈનકાર કરવામાં નથી આવ્યો પરંતુ પાકિસ્તાને તેમના કોઈ આતંકવાદી ગતિવિધિમાં શામેલ થવાના કોઈ ઠોસ પુરાવા પણ નથી આપી શક્યુ. તેમણે કહ્યુ કે પાકિસ્તાને તેમની સામે કાલ્પનિક કહાની તૈયાર કરી છે જેમાં કોઈ દમ નથી. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનનો દાવો છે કે જાધવને 2016માં ઈરાનથી બલૂચિસ્તાનમાં ઘૂસ્યા બાદ ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે ભારતે ફરીથી સ્પષ્ટ કર્યુ કે નેવીમાંથી રિટાયર થયા બાદ તે બિઝનેસના અનુસંધાનમાં ઈરાન ગયા હતા જ્યાંથી તેમનું અપહરણ કરી લેવામાં આવ્યુ હતુ. તમને જણાવી દઈએ કે જાધવને સજા સંભળાયા બાદ ભારતમાં જબરદસ્ત ગુસ્સો જોવા મળ્યો હતો.
48 વર્ષના રિટાયર્ડ નૌસૈના અધિકારી
કુલભૂષણન જાધવને મળેલી આ સજા સામે ભારત 8 મે, 2017ના રોજ આંતરારાષ્ટ્રીય ન્યાયાલયમાં ગયુ હતુ. આઈસીજેની 10 સભ્યોની બેંચે 18 મે, 2017ના રોજ આ મામલાની સુનાવણી પૂરી થવા સુધી સજાના અમલ પર રોક લગાવી દીધી હતી. પાકિસ્તાની મિલિટ્રી કોર્ટે તેમને એપ્રિલ 2017માં મોતની સજા સંભળાવી હતી. આઈસીજેએ આ વર્ષે 18થી 21 ફેબ્રુઆરી સુધી આ ચર્ચિત કેસની સુનાવણીની તારીખ નક્કી કરી છે. સોમવારે આમાં ભારત તરફથી દલીલો રજૂ કરાયા બાદ મંગળવારે પાકિસ્તાન પોતાનો પક્ષ રજૂ કરશે. 20 તારીખે ફરીથી ભારત પોતાનો જવાબ રજૂ કરશે અને 21 તારીકે પાકિસ્તાન પોતાની અંતિમ દલીલો રજૂ કરશે. પાકિસ્તાન તરફથી ત્યાંના અટર્ની જનરલ અનવર મનસૂર પોતાનો પક્ષ રજૂ કરશે. આશા છે કે આ વર્ષે આઈસીજે પોતાનો ચુકાદો સંભળાવી દેશે.