મોદી પર હવે ચર્ચાની કોઇ જરૂરિયાત નથી: શરદ પવાર
કોલ્હાપુર, 3 ફેબ્રુઆરી: કેન્દ્રિય કૃષિ મંત્રી શરદ પવારે આજે કહ્યું હતું કે 2002ના રમખાણો દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની ભૂમિકા પર કોર્ટનો ચૂકાદો આવ્યા પછી તેના પર ચર્ચા કરવાની જરૂરિયાત નથી. થોડા દિવસો પહેલાં તેમના સહયોગી પ્રફુલ્લ પટેલે આવી જ ટિપ્પણી કરી હતી એવામાં અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે રાકાંપાનું વલણ ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર પ્રત્યે નરમ થઇ ગયું છે.
જો કે પાર્ટીએ કહ્યું હતું કે નરેન્દ્ર મોદીની સાથે તેમની વિચારધારાને લઇને પાયાના મતભેદ છે અને તેની સાથે ગઠબંધનને નકારી કાઢ્યું હતું. આ વિશે એક પ્રશ્નના જવાબમાં રાકાંપા પ્રમુખે કહ્યું હતું કે 'જો કોર્ટે પોતાનો ચૂકાદો આપી દિધો છે, તો પછી તેના પર કોઇપણ પ્રકારની ચર્ચાનો સવાલ ઉદભવતો નથી. અમે કોર્ટના ચૂકાદાનું સન્માન કરીએ છીએ અને તેના પર કોઇ ચર્ચા થવી ન જોઇએ.'
શરદ પવારને પ્રફુલ્લ પટેલના તે નિવેદન વિશે પૂછવામાં આવ્યું હતું જેમાં તેમને કહ્યું હતું કે ગોધરા બાદના રમખાણોમાં નરેન્દ્ર મોદીની કથિત રીતે સંડોવણી વિશે કોર્ટના ચૂકાદાનો સ્વિકાર કરવો જોઇએ. પ્રફુલ્લ પટેલે કહ્યું હતું કે કોઇપણ મુદ્દા પર ન્યાય મેળવવાનો અંતિમ રસ્તો ન્યાયિક પ્રણાલી છે અને ન્યાયિક પ્રણાલીએ કોઇ ચૂકાદો આપ્યો છે તો આપણે તેનું સન્માન કરવું જોઇએ. અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલાં એક મરાઠી દૈનિકમાં શરદ પવાર અને નરેન્દ્ર મોદી વચ્ચે ગુપ્ત બેઠકની વાત સામે આવી હતી.
જો કે રાકાંપા નેતા તારીક અનવરે કહ્યું હતું કે નરેન્દ્ર મોદી સાથે વિચારધારાના સ્તર પર મતભેદ છે અને તેની સાથે ગઠબંધનનો કોઇ પ્રશ્ન નથી. તેમને કહ્યું હતું કે આ વાત અમે પાર્ટીના ગઠનના પહેલાં દિવસથી કહેતાં રહ્યાં છીએ કે નરેન્દ્ર મોદી અને ભાજપ સાથે ગઠબંધનનો કોઇ સવાલ જ નથી.