મીણબત્તી લઇને પ્રદર્શન કરવું ફેશન છેઃ અભિજીત મુખર્જી
અભિજીતે એમ પણ કહ્યું કે હું જાણું છું કે વિદ્યાર્થી જીવન કેવું હોય છે. હું પણ વિદ્યાર્થી હતો. મને શંકા છે કે મેક અપ કરીને રસ્તાઓ પર પ્રદર્શન કરવા ઉતરેલી મહિલાઓ વિદ્યાર્થિની છે કે નહીં, કારણ કે આટલી ઉમરની મહિલાઓ વિદ્યાર્થિની હોઇ શકે નહીં.
તેમણે કહ્યું કે, પ્રદર્શન કરનારી મહિલાઓને હકીકત શું છે તે ખબર નથી. બીજી તરફ પ્રણવ મુખર્જીની દિકરી તેના ભાઇના આ પ્રકારના નિવેદનથી હેરાન છે અને તેણે પોતાના ભાઇની ટિપ્પણી બદલ માફી માંગી છે. ભાજપે પણ અભિજીત મુખર્જીના નિવેદનની આકરા શબ્દોમાં ટીકા કરી છે.
નોંધનીય છે કે 16 ડિસેમ્બરે દિલ્હીમાં સામુહિક બળાત્કારની એક ઘટના ઘટી હતી, જેનો શિકાર 23 વર્ષીય એક યુવતી બની હતી. આ સામુહિક બળાત્કારે તમામ સીમાઓ તોડી નાંખી હતી. યુવતી સાથે માત્ર બળાત્કાર જ નહોતો કરવામાં આવ્યો પરંતુ તેને ગંભીર રીતે ઇજાગ્રસ્ત પણ કરવામાં આવી હતી. આ યુવતી હાલ સિંગાપોરની એક હોસ્પિટલમાં જિંદગી અને મોત વચ્ચે લડી રહી છે.
આ ઘટના બાદ આખા દેશમાં લોકો રોષે ભરાયા હતા, દિલ્હીમાં મોટી સંખ્યામાં સામાન્ય લોકો અને મહિલાઓ રસ્તા પર ઉતરી આવી અને બળાત્કારીઓને ફાંસીની સજા આપવામાં આવે તેવી માંગ કરવા લાગ્યા હતા. આ પ્રદર્શનના કારણે સરકારને ઘણું સહન કરવું પડ્યું છે.