AAPના મંત્રી કૈલાશ ગેહલોતના 16 ઠેકાણે આઈટીના દરોડા પડ્યા
raid at 16 place of AAP minister kailash gahlot
નવી દિલ્હીઃ આવકવેરા વિભાગે દિલ્હી સરકારમાં મંત્રી કૈલાશ ગેહલોતના 16 ઠેકાણે દરોડા પાડ્યા છે. આ દરોડા દિલ્હી સહિત ગુરુગ્રામ સ્થિત ગેહલોતના વિવિધ ઠેકાણે પર મારવામાં આવી રહ્યા છે. આવકવેરા વિભાગના સૂત્રો મુજબ આ રેડ બ્રિસ્ક ઈન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ડેવલપર્સ લિમિટેડ અને કોર્પોરેશન ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સર્વિસિઝ લિમિટેડની ઑફિસમાં થઈ રહી છે. રેડ દરમિયાન તમામ આવકવેરા વિભાગના અધિકારીઓ ત્યાં હાજર છે. જણાવી દઈએ કે કૈલાશ ગેહલોત નવી દિલ્હીના નજફગઢ વિધાનસભા સીટ પરથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે અને કેજરીવાલ સરકારમાં આઈટી, પરિવહન મંત્રી છે.
કૈલાશ ગેહલોત વિરુદ્ધ આવકવેરા વિભાગે કરેલી રેડને આમ આદમી પાર્ટીએ બદલાની રાજનીતિ ગણાવી છે. આપના ટ્વિટર હેન્ડલથી ટ્વીટ કરીને કહેવામાં આવ્યું છે કે આ રાજનૈતિક બદલા માટે કરવામાં આવેલી કાર્યવાહી છે. આમ આદમી પાર્ટીએ ટ્વીટ કરીને કહ્યું કે અમે નાગરિકોને સસ્તી લાઈટ આપી રહ્યા છીએ, મફતમાં પાણી આપી રહ્યા છીએ, સારું શિક્ષણ અને સ્વાસ્થ્ય આપી રહ્યા છીએ, સરકારી સેવાઓ ઘર-ઘર સુધી પહોંચી રહી છે અને તેઓ CBI, EDથી અમારા મંત્રીઓ અને નેતાઓના ઘરમાં દરોડા પડાવી રહ્યા છે. નાગરિકો બધું જ જોઈ રહ્યા છે, 2019માં બધો જ હિસાબ એકસાથે કરી દેશે.
આ પણ વાંચો- રાયબરેલી ટ્રેન દુર્ઘટના પર પીએમ મોદીએ દુઃખ વ્યક્ત કર્યું