ભારત માટે ઇમરાન કરતા શરીફ વધારે ઉચિત : વિશ્લેષણ
પાકિસ્તાન સામાન્ય ચૂંટણી 2013ની મતગણતરી ચાલી રહી છે અને તેના પરથી સ્પષ્ટ જાણવા મળી રહ્યું છે કે આ વખતે સત્તા નવાઝ શરીફના હાથમાં આવી રહી છે. આવામાં ભારત અને પાકિસ્તાનના વણસેલા સંબંધો સુધરે તેવી આશા સૌ કોઇ રાખી રહ્યા છે.
આ વખતે જો નવાઝ શરીફને બદલે ઇમરાન ખાન વડાપ્રધાન બનત તો તેઓ ભારત સાથેના સંબંધોને મહત્વ તો ચોક્કસ આપત પણ ઇમરાન ખાને હજી સુધી રાજકીય નેતા તરીકે કોઇ પરીક્ષા આપી નહીં હોવાથી બે દેશો વચ્ચેના સબંધો કેવી રીતે સુધારી શકાય તેનો તેમને ખાસ અનુભવ નથી.
બીજી તરફ નવાઝ શરીફ એક અનુભવી રાજનેતા માનવામાં આવે છે. તેઓ જેલ પણ જઇ ચૂક્યા છે. તેમની ટક્કર સૈન્ય શાસન સાથે પણ થઇ ચૂકી છે. જો આ વખતે વડાપ્રધાન બનીને નવાઝ શરીફના વલણમાં ખાસ બદલાવ નહીં આવે તો ભારત માટે તેઓ ઇમરાન ખાન કરતા વધારે સારા નેતા સાબિત થશે.
પાકિસ્તાન સૈન્ય સાથે દર વખતે નવાઝ શરીફને ટક્કર ઝીલવી પડી છે. તેમણે પાકિસ્તાન પીપલ્સ પાર્ટીની સરકાર (પીપીપી)ને પાંચ વર્ષ સુધી ચાલવા દીધી છે. જો તેમણે ધાર્યું હોત તો સરકારને ઉથલાવી પણ શક્યા હોત. પીપીપીના કાર્યકાળ દરમિયાન તેમણે પોતાની રાજકીય પરિપક્વતાનો પરિચય આપ્યો હતો. તેમણે ક્યારેય પણ જરદારી સરકારને ઉથલાવવાનો પ્રયત્ન કર્યો નથી. કારણ કે નવાઝ શરીફ માને છે કે જો દેશમાં લોકશાહીને મજબૂત કરવી હશે તો સહયોગ આપવો જરૂરી છે.
દર વખતની જેમ આ વખતે પણ સૈન્ય સાથે તેમની ટક્કર થાય એવું બને. તે તેમની રાજનીતિનું એક પાસું છે. જો કે આ વખતને સેના પ્રમુખ કોણ છે તેના ઉપર પણ ઘણો આધાર રહેલો છે. આવનારા સમયમાં શું થશે એ તો આવનારા સમયમાં જ જાણવા મળશે.
અહીં બીજી એક મહત્વની બાબત એ છે કે તહરેકે તાલિબાન પાકિસ્તાન (ટીટીપી)એ શરૂઆતમાં જ કહ્યુંહતું કે લોકશાહીમાં તેને વિશ્વાસ નથી. તે ચૂંટણીઓ યોજાવા નહીં દે. તેમણે છેલ્લી ઘડીએ મતદાન દરમિયાન બોમ્બ વિસ્ફોટ કર્યા અને ત્રણ પાર્ટીઓને નિશાન બનાવી. આથી આ ચૂંટણીઓ પાકિસ્તાનમાં લોકશાહીની પરીક્ષા હતી. જેમાં દેશ પાસ થયો છે. વિસ્ફોટો છતાં પાકિસ્તાનમાં 60 ટકા મતદાન લોકોનો જુસ્સો દર્શાવે છે.